મુંબઇ

છેલ્લા અમુક વર્ષોથી બોલિવૂડમાં આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશ પર ફિલ્મ બનવાની ચર્ચા ઘણા વેગથી ચાલી રહી હતી. ડિરેક્ટર શકુન બત્રા આની પ્લાનિંગ કરી રહ્યા હતા, જેનું નિર્માણ કરણ જોહર કરવાના હતા. ફિલ્મમાં આમિર ખાન અને આલિયા ભટ્ટ કાસ્ટ થવાની ચર્ચા પણ હતી. જોકે હજુ સુધી આના પર કોઈપણ પ્રકારનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી. આ વચ્ચે રવિ કિશને બાજી મારી લીધી છે.

આમિર ખાનથી પહેલાં રવિ કિશન હવે વેલજી ભાઈ ગાલા નિર્મિત ફિલ્મ 'સિક્રેટ્સ ઓફ લવ'માં ઓશો રજનીશના રોલમાં સ્ક્રીન પર દેખાશે. વેલજીભાઇ જણાવ્યું હતુ કે, 'છેલ્લા 30 વર્ષથી હું ઓશોનો સન્યાસી છું અને હું તેમની સ્ટોરીને લોકો સુધી બને એટલી જલ્દી પહોંચાડવા માગું છું. ઘણું વિચાર્યા બાદ મને ખ્યાલ આવ્યો કે તેમની સ્ટોરીને ફિલ્મ મારફતે લોકો સુધી પહોંચાડી શકાય છે. માટે મેં આ નિર્ણય લીધો. મેં તેમના ઘણા પ્રવચન સાંભળ્યા છે, તેમને જણાવેલું મેડિટેશન કર્યું છે. તેમની સાથે જોડાયેલી દરેક નાની વસ્તુથી હું જાણકાર છું, માટે ફિલ્મમાં વધુ પ્રોબ્લેમ ન થઇ. મારા મુજબ ઓશો આ સદીના બેસ્ટ મેન છે અને આ સદીના લોકોએ તેમના વિશે જરૂર જાણવું જોઈએ.'

રવિ કિશન વિશે વેલજી ભાઈ જણાવ્યું છે કે, 'આ ફિલ્મમાં અમે ઓશો સાથે જોડાયેલા ત્રણ મોટા ફેઝ દેખાડવાના છીએ જેના માટે ત્રણ અલગ-અલગ એક્ટર લીધા છે જયેશ કપૂર, વિવેક મિશ્રા અને રવિ કિશન. જ્યારે ઓશો રજનીશ અમેરિકા ગયા હતા જ્યાં તેમને ઝેર આપવામાં આવ્યું તે રોલમાં રવિ કિશન દેખાશે. રવિને સાઈન કરતા પહેલાં અમે અમુક એક્ટર્સના લુક ટેસ્ટ કર્યા હતા જોકે રવિ કિશનથી બેટર ઓશોના રોલમાં કોઈ ફિટ ન થઇ શક્યું.'

ફિલ્મકાર ગયા વર્ષે જ આ ફિલ્મને રિલીઝ કરવાના હતા પણ લોકડાઉનને કારણે તેના પ્લાનમાં ફેરફાર આવ્યો. તેમણે જણાવ્યું કે, 'અંદાજે દોઢ વર્ષથી અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. લોકડાઉનને કારણે અંદાજે 7-8 મહિના બેકાર ગયા. પ્લાનિંગ મુજબ અમે તેને 2020માં જ રિલીઝ કરવાના હતા. મોટાભાગનું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને હવે તે એપ્રિલ-મે 2021 વચ્ચે રિલીઝ થશે.'