નડિયાદ, તા.૫ 

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ખેડા જિલ્લાની મીટિંગ શ્રી દંડીસ્વામી આશ્રમ ડાકોર મુકામે યોજાઇ હતી. આ મીટિંગમાં આઈસીસીઆરના ડિરેક્ટર તથા વડોદરાની એમએસ યુનિવર્સિટીના સેનેટ સિન્ડીકેટ સભ્ય જિગર ઈનામદાર, ઝોન સંયોજક મનોજભાઈ તથા જિલ્લા સંયોજક પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની કામગીરીની સમીક્ષા તથા આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ યોજનાઓને ગામે ગામ સુધી લઈ જઈ લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે અને યોજનાઓ વિશે માહિતગાર કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આ મીટિંગ લોકડાઉનના સમયગાળા બાદ પ્રથમ વખત રાખવામાં આવી હતી. મીટિંગમાં જિગર ઈનામદાર અને પ્રણવ સાગરના હસ્તે ડાકોર રણછોડરાયજી મંદિરમાં ધજા ચડાવવામાં આવી હતી. રણછોડરાયજીના દર્શન બાદ પૂજ્ય શ્રી વિજયદાસજી મહારાજ શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં ૧૦૮૧ યુવા કેન્દ્રોની સ્થાપના કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેમાં ૧૦,૦૦૦ કરતાં વધુ સંખ્યા ધરાવતાં ગામમાં પાંચ યુવા કેન્દ્રો, ૭૦૦૦થી ૧૦,૦૦૦ લક્ષ્યાંકવાળા ગામોમાં ચાર યુવા કેન્દ્રો, ૫૦૦૦થી ૭૫૦૦ની વસતિ ધરાવતાં ગામમાં ત્રણ યુવા કેન્દ્રો, ૩૦૦૦થી ૫૦૦૦ની વસતિ હોય તો ગામમાં બે યુવા કેન્દ્રો અને ૨૫૦૦થી ઓછી વસતિ ધરાવતાં ગામોમાં એક સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર બનાવવાનો નિર્ધાર કરાયો છે. આ કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવો કરવામાં આવી રહ્યો છે. આ કેન્દ્રોના યુવાઓનું કામ લોકોને યોજનાઓનો લાભ અપાવવો, સરકાર, જિલ્લા વહીવટીતંત્ર તથા સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ગામડે ગામડે લોકોને સહાય કરવી વગેરે છે. આવાં અનેક અભિયાનની શરૂઆત અને એની ચર્ચા આજની જિલ્લા મીટિંગમાં કરવામાં આવી હતી. મીટિંગનું સંપૂર્ણ માર્ગદર્શન જિગર ઈનામદારે કર્યું હતું.