દિલ્હી-

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કથિત બનાવટી ટીઆરપી કૌભાંડ મામલે નાણાંની ધનશોધનનો કેસ નોંધ્યો છે, જેની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઇસીઆરઆર) દાખલ કર્યો છે, જે પોલીસ એફઆઈઆર જેવું જ છે. ઇડીએ ઓક્ટોબરમાં દાખલ કરેલી મુંબઈ પોલીસની એફઆઈઆરનો અભ્યાસ કર્યા બાદ આ કેસ નોંધ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું છે કે ઇડી ટૂંક સમયમાં પોલીસ એફઆઈઆરમાં નામના ન્યૂઝ ચેનલોના અધિકારીઓ અને અન્ય લોકોને બોલાવી તેમની પૂછપરછ કરશે અને તેમના નિવેદનો રેકોર્ડ કરશે. હકીકતમાં, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) એ હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે, કેટલાક ટીવી ચેનલો ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી) સાથે ચેડાં કરે છે.

બીએઆરસીની આ ફરિયાદ બાદ નકલી ટીઆરપી કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે આરોપ લગાવ્યો હતો કે કેટલીક ચેનલો ટીઆરપી વધારવા માટે લાંચ આપી રહી છે જેથી તેમની જાહેરાતની આવક વધી શકે. એવો આરોપ છે કે જે મકાનોમાં ટીઆરપી માપન મીટર લગાવવામાં આવ્યા હતા, તેમને એક ચેનલ ખુલ્લી રાખવા માટે લાંચ આપવામાં આવી હતી. ટીવી ચેનલો માટે ટીઆરપી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની જાહેરાતની આવક તેના પર નિર્ભર છે.