મોરબી,મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર ૧૦ જેટલા વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ પરમાર નામના વ્યક્તિ પર ગામમાં જ રહેતા ઈસમોએ લાકડી, પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં મૃતક ભરતભાઈના પત્ની મંજુબેન ભરતભાઈ પરમાર (ઉં.વ. ૨૮) અને તેના પતિ ભરતભાઈને જૂની માથાકૂટ ચલતી હોય તેનો ખાર રાખી આરોપી જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ શલીયો ભરવાડ, મૈલો કોળી, મૈલા કોળીનો ભાઈ સંજય કોળી, બળીયો કોળી, બળિયા કોળીના સંબધી શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ હુમલામાં જગદીશભાઈ અને ભરતભાઈને પરમારને માર મારતા ભરતભાઈને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલ ઇજાગ્રસ્ત ભરતભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે બંને વ્યક્તિઓ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે હાલ મોરબી પોલીસે નવ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.