દિલ્હી-

ફરી એકવાર કોરોનાએ દેશમાં વેગ પકડ્યો છે. આજે સામાન્ય લોકોથી લઇને નેતા-અભિનેતા પણ આ વાયરસથી પોતાને બચાવી શક્યા નથી. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવાર અને ભાજપનાં સાંસદ સરોજ પાંડે કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

 

બંને નેતાઓએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. સંતોષ ગંગવારે ટ્વીટ કર્યું હતું કે, 'હું તમને જાણ કરવા માંગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી પાસે કોઈપણ પ્રકારની સિમટમ્સ નથી, હું વિનંતી કરું છું કે દરેક જે મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને કોરોના સુરક્ષાનાં નિયમોનું પાલન કરે. સાથે મળીને આપણે આ રોગચાળાથી જીત મેળવીશું. બીજી તરફ ભાજપનાં સાંસદ સરોજ પાંડેએ ટ્વીટ કર્યું હતું કે, 'ગઈકાલે તબિયત નબળી હોવાને કારણે કોવિડ-19 નો ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોની સલાહ લઈને મને દિલ્હીનાં એઈમ્સમાં દાખલ કરવામાં આવેલ છે. જે લોકો છેલ્લા દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓએ બધાએ તેમનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.