અમદાવાદ-

રાજ્યમાં કોરોનાની હાલત વકરતી જતી હોવાથી અમદાવાદમાં પણ હવે તંત્ર સફાળું જાગી ગયું છે. શહેરમાં સતત વકરી રહેલી સ્થિતિ વચ્ચે અમદાવાદ પાલિકા અનેક નિર્ણયો લઈ રહી છે. કોરોના બેડ વધારવાથી માંડીને કોરોના ટેસ્ટ મામલે હવે એક મોટા અપડેટ સામે આવ્યા છે. શહેરમાં આરટીપીસીઆર ટેસ્ટ વધારવા અનોખી પહેલ કરાઈ છે. આજે સવારે 8 વાગ્યાથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરટીપીસીઆર ટેસ્ટ ડ્રાઈવ શરા કરવામાં આવનાર છે. એએમસી અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી સાથે મળીને લોકોના ટેસ્ટિંગ કરાશે. જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. એટલુ જ નહિ, આ ટેસ્ટના રિપોર્ટ 24 થી 35 કલાકમાં મેઈલ કે વોટ્સઅપથી મળી શકશે.

તો બીજી તરફ, અમદાવાદમાં કોરોના બેડ મામલે એએમસી એ બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં ફરી એકવાર એએમસી ક્વોટા સિસ્ટમ શરૂ થશે. જેમાં એમઓયુ એમઓયુ કરેલી હોસ્પિટલમાં 2 થી 20 ટકા બેડ મળી શકશે. જેમાં એએમસી ક્વોટા માટે રિઝર્વ રહેશે. જોકે, તેમાં ખાસ વાત એ છે કે આ બેડમાં 108 સેવા દ્વારા લવાયેલા દર્દીઓને જ માન્ય ગણાશે.

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા એપીએમસી અમદાવાદે પણ એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ શુક્રવાર સાંજે આઠ વાગ્યાથી રવિવાર સાંજે આઠ વાગ્યા સુધી જમાલપુર માર્કેટ બંધ રહેશે. એપીએમસી વાસણા માર્કેટ પણ શનિવાર અને રવિવાર બંધ રહેશે. કોરોનાના સંક્રમણની ચેન તોડવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

શહેરમાં કોરોના કેસમાં અતિ મોટો ઉછાળો નોંધાયો છે. નવા માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો જોવા મળ્યો છે. નવા 31 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ જાહેર કરાયા છે. અગાઉના 17 વિસ્તારો દૂર કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 407 પર પહોંચી ગઈ છે.