02, જુલાઈ 2025
જમ્મું |
2277 |
આવતિકાલથી યાત્રાનો પ્રારંભ થશે , ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
38 દિવસ યાત્રા પહેલગામ અને બાલતાલ બન્ને રૃટથી થશે
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી બાબા અમરનાથની યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત આવતિકાલથી થશે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. અમરનાથ યાત્રાને લઈ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે થશે.
ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના થઈ છે. યાત્રી નિવાસ ભગવતી નગર, જમ્મુથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલાં સમૂહને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જેમણે જમ્મુના તાવી રિવરફ્રન્ટ ખાતે 'તાવી આરતી'માં ભાગ લીધો હતો. બાબા અમરનાથ યાત્રાનો આવતિકાલે તા. 3 જુલાઈથી પ્રારંભ થશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા સહિત સુરક્ષાના કારણોસર આ વખતે હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.