મુંબઇ 

માંદગીમાં મનપસંદ ખોરાક ખાવાથી આરોગ્ય પર ઘણી સારી અસર પડે છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ મનપસંદ વાનગીઓ રોગને વધારવાનું કારણ તો નથી બની રહીને. અમેરિકાના રોગ અને નિવારણ કેન્દ્રના જણાવ્યાનુસાર બીમારી હોય ત્યારે વિટામિનથી ભરપુર ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને વિટામિન ડી, સી અને ઝીંક શરીરની રીકવરીને ઝડપી બનાવે છે.

તેમાં પણ વાત કોરોના વાયરસના ચેપની હોય તો આવા વ્યક્તિએ આ વિશિષ્ટ પોષક તત્ત્વોનો વપરાશ વધુ કરવો તે મહત્વપૂર્ણ થઈ જાય છે. ઝડપી રિકવરી માટે કેટલાક પ્રકારના ખોરાક ટાળવા પણ જોઈએ. કારણ કે કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિ જો કેટલાક પ્રકારના ખોરાક આરોગે તો રોગ સામે લડવાની તેની રોગપ્રતિરક્ષા શક્તિ નબળી પડે છે. તો જાણી લો કે જ્યારે કોરોના વાયરસનો ચેપ લાગે છે ત્યારે કયા પ્રકારના ખોરાકના સેવનથી બચવું જોઈએ.

પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડ 

કોરોના વાયરસથી પીડિત લોકોએ બજારમાં મળતા ફાસ્ટફૂડ ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. આવા ખોરાકમાં સોડિયમ, ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. જે રિકવરીની પ્રક્રિયાને ધીમી કરે છે. કોરોના વાયરસ ચેપની સ્થિતિમાં બટેટાની ચીપ્સ, પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ખોરાકને સંપૂર્ણપણે ટાળવો જોઈએ.

માંસ 

માંસ સામાન્ય સંજોગોમાં પણ બીમારીમાં ન ખાવું જોઈએ. તેમાં જો કોરોના વાયરસથી સંક્રમિત કોઈ હોય તો ચોક્કસપણે માંસ ખાવાથી બચવું જોઈએ. માંસને બદલે કઠોળનું સેવન કરવું જોઈએ.

તળેલી વાનગીઓ 

તળેલા ખોરાકમાં વધુ માત્રામાં ચરબી હોય છે. આ ખોરાક તમારી રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ નબળી કરે છે. તળેલા ખોરાક તમારા આંતરડાના માઇક્રોબાયોમ પર નકારાત્મક અસર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી કરી દે છે. તેથી તળેલા અથવા ઠંડા ખોરાકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આ ખોરાક ખરાબ કોલેસ્ટરોલને પણ વધારે છે, જેનાથી હાર્ટ રોગોનું જોખમ પણ વધે છે.

સોડા પીવાનું ટાળો 

સુગરથી ભરપૂર સોડા અને અન્ય ઠંડા પીણાંથી પણ શરીરમાં બળતરા વધે છે. ઝડપી રીકવરી માટે કાર્બોરેટેડ પીણાં અને સોડા છોડવાનું વધુ સારું છે.

મસાલેદાર ખોરાક 

શરદી, ખાંસી અથવા ફ્લૂમાં મસાલાવાળા ખોરાકને લેવાનું ટાળવું જોઈએ. મસાલાવાળા ખોરાક ખાંસી વધારે છે. તેથી કોરોનામાં મસાલેદાર ખોરાક ખાવો જોઈએ નહીં.