03, ઓક્ટોબર 2025
વડોદરા |
6039 |
વડોદરાના ઈજનેર રાજેશ્વરી નાયરના સંશોધનપત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી
વડોદરા શહેરમાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા ઈજનેરે વાંસના વેસ્ટનો ઉપયોગ કરી કોંક્રિટ રોડની આવરદા વધારવા માટે તૈયાર કરેલા સંશોધનપત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આગામી દિવસોમાં સાઉથ કોરિયાના જેજુ દ્વિપ ઉપર યોજનારી સિવિલ એન્જીનિયરિંગ કોન્ફરન્સ ઇન ધ એશિયન રિજિયનમાં સસ્ટેનબલ ડેવલપમેન્ટ વિભાગમાં પ્રસ્તુત કરવા માટે સમગ્ર ભારતમાંથી આ એક માત્ર સંશોધનપત્રની પસંદગી થઇ છે.
માર્ગ અને મકાન વિભાગની વડોદરા શહેરની કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ્વરી નાયર દ્વારા કોંક્રિટની ક્ષમતા વધારવા માટે સંશોધન કર્યું છે. જેમાં વાંસના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિર્માણ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન થાય છે, તેને ઘટાડવા માટે નવા સંશોધનો જરૂરી છે. આ સંશોધનમાં વાંસના રેષાનો કોંક્રિટમાં મજબૂતાઈ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. વાંસ એક ઝડપી વૃદ્ધિ પામતું વૃક્ષ છે. સંશોધન દર્શાવે છે કે બાંબૂ ફાયબર ઉમેરવાથી કોંક્રિટની રસ્તાઓમાં ક્રેક ઓછા પડે છે, ભારે ટ્રાફિકમાં જીવનકાળ વધે છે અને જાળવણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે લાઇફ સાયકલ મૂલ્યાંકન મુજબ કાર્બન ઉત્સર્જન અને સંસાધનોનો ખર્ચ ઘટે છે. આ સાથે ખર્ચ-લાભ વિશ્લેષણ દર્શાવે છે કે બાંસ રેશા મજબૂત કોંક્રિટ પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ વિકલ્પ બની શકે છે.
આ અભ્યાસ માર્ગ નિર્માણમાં પર્યાવરણમૈત્રી અને લાંબા ગાળાની ટકાઉ પદ્ધતિઓને આગળ ધપાવે છે અને હવામાન બદલાવ સામે લડવામાં મદદરૂપ થાય છે.
આ સંશોધન માત્ર વૈજ્ઞાનિક પ્રયોગ નથી, પરંતુ ભારત સહિત વિશ્વ માટે હરિયાળ અને ટકાઉ રસ્તાઓ તરફનું એક ક્રાંતિકારી પગલું છે. વાંસ આધારિત કોંક્રિટ માર્ગો ભવિષ્યમાં પર્યાવરણ અને વિકાસ બંને માટે શ્રેષ્ઠ ઉકેલ સાબિત થઈ શકે છે. સિવિલ એન્જીનિયરિંગ કોન્ફરન્સ ઇન ધ એશિયન રિજિયનમાં ગુજરાતમાંથી એક માત્ર નાયર એક માત્ર ઇજનેરના સંશોધન પત્રની પસંદગી થઇ છે. આ ઉપરાંત, આઇઆઇટીમાં અન્ય એક સંશોધનકર્તાની પસંદગી થઇ છે.