અમદાવાદ, આયુર્વેદિક ડોકટરોને આંખ, નાક , કાન અને ગળા સહિત ૫૮ પ્રકારની સર્જરી માટે ર્નિણયનો વિવાદ ચાલી રહ્યો છે જેની વચ્ચે હવે ઈન્ટર્ન ડોકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવા માટે માંગણી કરી છે. સ્ટાઇપેન્ડ વધારી આઓવ માંગણી કરી છે અને આ માંગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજયના તમામ ઈન્ટર્ન ડોકટરો આવતીકાલ સોમવારથી તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી જશે. કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહ્યું છે તેવો આક્ષેપ ઈન્ટર્ન ડોકટરોએ મુક્યો છે. 

ડોકટરોએ એક લેટર પોસ્ટ કર્યો છે જેમાં જણાવ્યું છે કે ઈન્ટર્ન ડોકટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં ૩૦૦ જેટલા ડોકટરો કોરોના સંક્રમિત થયા છે. સિનિયર ડોકટરો સાથે તેઓ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને રૂ. ૧૨૮૦૦ જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોકટરોને મળતા વેતન મુજબ ઓછું છે.

વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજુઆત કરી છતાં કોઈ ર્નિણય લેવાયો નથી જેથી તેઓની ત્રણ માંગણીઓ નહિ સ્વીકારાય તો આવતીકાલ સોમવારથી તમામ સરકારી, જીએમઈઆરએસ અને કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર ઉતરી જશે. ઈન્ટર્ન ડોક્ટરોનું રૂ. ૧૨૮૦૦ સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. ૨૦૦૦૦ કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયર્સ પણ ચુકવવામાં આવે.