30, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3663 |
બંગાળ-આસામથી ટ્રેન હવે ભુતાન જશે, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ચાર વર્ષ થશે
ભારત સરકારે સોમવારે ભારત-ભુતાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કુલ 4033 કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્ત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, બે પ્રોજેક્ટોથી બંને દેશો વચ્ચે સંપર્કની સાથે વ્યાપાર, પર્યટન અને લોકોની અવરજવર પણ ઘણી સરળ બનશે. ખાસ વાત એ છે કે, આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિકો ટ્રેન દ્વારા સીધા ભુતાન જઈ શકશે.
પ્રથમ પ્રોજેક્ટ આસામના કોકરાઝારથી ભુતાનના ગાલેફૂ શહેર સુધી રેલવે લાઈન બિછાવવામાં આવશે. આ 69 કિલોમીટર લાંબી રેલવે લાઈન પર 3456 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
બીજા પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ બંગાળના બનરહાટને ભુતાનના સમત્સે શહેર સાથે જોડવામાં આવશે. બંને શહેર વચ્ચે 20 કિલોમીટરની રેલવે લાઈન બિછાવવા માટે 577 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અગાઉ આ ટ્રેન બંગાળના હાસીમારા આવતી હતી.
ભારત-ભૂટાનને જોડવા માટે આસામના કોકરાઝાર થી ભૂતાનના ગાલેફૂ સુધીની નવી રેલ લાઈનનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.