23, સપ્ટેમ્બર 2025
અમદાવાદ |
3069 |
નવરાત્રિ અને દશેરામાં 30 હજાર જેટલી કારના વેચાણનો અંદાજ
નવરાત્રિના પહેલા નોરતે જીએસટી રેટમાં ઘટાડા સાથે અનેક ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે. જીએસટીમાં કાપને પગલે 22મી સપ્ટેમ્બર એટલે પ્રથમ નવરાત્રીમાં ગુજરાતમાં 8થી 10 હજાર ટુ-વ્હિલર, 2500થી વધુ કારનું વેચાણ થયું છે. ગુજરાતમાં કાર, ટુ-વ્હિલર ખરીદનારાઓને 50 કરોડથી વધુનો લાભ થયો છે..
નવલી નવરાત્રિની શરૂઆત જીએસટી 2.0 સાથે થઈ છે. જીએસટીના દરોમાં ધટાડા બાદ ગુજરાતના ઓટો રિટેલ ક્ષેત્રને નવા બૂકિંગ, ઈન્ક્વાયરી મામલે સારો પ્રતિસાદ મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશન દ્વારા મળતી વિગતો મુજબ જીએસટીના નવા દરથી ગ્રાહકોને ટુ-વ્હિલરમાં સાત હજારથી 20 હજાર રૂપિયા, જ્યારે કારમાં 60 હજારથી 2.50 લાખ રૂપિયા સુધીનો લાભ થશે.
જીએસટીમાં ઘટાડાના પહેલા દિવસે અમદાવાદમાં અંદાજે 2500 ટુ-વ્હિલર્સ, 800થી 1 હજાર જેટલી કારનું વેચાણ થયું હતું. જેનાથી અમદાવાદના ગ્રાહકોને 10 કરોડ રૂપિયાથી વધુનો લાભ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, જીએસટીમાં ઘટાડો, સાનુકૂળ ચોમાસું અને સકારાત્મક અર્થતંત્રને પગલે નવરાત્રિ દરમિયાન દેશમાં 10 લાખ ટુ વ્હિલર્સ, 30 હજાર કારનું વેચાણ થવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી જુલાઇમાં 1.52 લાખ વાહનોનું વેચાણ થયેલું હતું. જેમાં 99735 ટુ વ્હિલર્સનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે જુલાઇમાં કુલ 1.52 લાખ વાહન વેંચાયા હતા.જ્યારે ગુજરાતમાં નવરાત્રી અને દશેરા દરમિયાન 30 હજાર જેટલી કારના વેચાણનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે.