23, સપ્ટેમ્બર 2025
ઇસ્લામાબાદ |
2475 |
રાત્રે ખૈબરના ગામ પર પાક. એરફોર્સનો બોમ્બમારો, હુમલામાં ગામના અનેક મકાનો ધ્વસ્ત
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના નાગરિકો પર હવાઇ હુમલા કર્યા હતા જેને પગલે બાળકો મહિલાઓ સહિત ૩૦ નાગરિકોનો મોત નિપજ્યા છે. ખૈબર પ્રાંતમાં તિરાહ ઘાટીમાં દારા નામના ગામ પર પાકિસ્તાની એરફોર્સના ફાઇટર વિમાન જેએફ-૧૭ વિમાનોથી આઠ જેટલા બોમ્બ ફેંક્યા હતા. કોઇ સામાન્ય નહીં પણ ઘાતક એલએસ-૬ બોમ્બ ફેંક્યા હતા.
પાકિસ્તાન દ્વારા પોતાના જ દેશના ગામમાં કરાયેલા બોમ્બમારામાં ૩૦થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. જોકે આ હુમલાને લઇને પાકિસ્તાની સરકાર અને સૈન્ય હજુસુધી મૌન છે જ્યારે સ્થાનિકોએ આ હુમલાની પોલ ખોલી હતી. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે ૨૦થી વધુ લોકો આ હુમલામાં ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બોમ્બમારામાં ગામડાનો મોટો હિસ્સો ધ્વસ્ત થઇ ગયો હતો, અનેક મકાનોનો કચ્ચરઘામ વળી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં લોકો રાત્રીના સમયે ઉંઘી રહ્યા હતા ત્યારે અચાનક જ આ હુમલો કરવામાં આવ્યો હતો.