ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2021  |   3465

વડોદરા-

વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ.

આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે.

વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં.

૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં.

એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે.

હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution