મુંબઈ

૩૫વર્ષીય એક્ટર અને થિયેટર કલાકાર રાહુલ વોહરાનું રવિવારે કોરોના વાયરસના કારણે નિધન થયું છે. નાટકની દુનિયાના જાણીતા ડિરેક્ટર અને થિયેટર ગુરુ અરવિંદ ગૌડે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ સમાચાર કન્ફર્મ કર્યા છે. રાહુલ વોહરા છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાથી પીડિત હતો અને તેણે ફેસબુક પર સતત મદદ પણ માગી હતી. તેણે શનિવારે પોતાની અંતિમ પોસ્ટમાં સારી સારવાર માટે મદદની માગ કરી હતી. ઉત્તરાખંડનો રહેવાસી રાહુલ વોહરા પહેલા નાટક કરતો હતો અને પછી ડિજિટલ પ્લેટફોર્મમાં એક્ટિંગ તરફ વળ્યો હતો. તે ઘણી વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. તે થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયો હતો અને તેણે પોતાની અંતિમ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે 'મને સારી ટ્રીટમેન્ટ મળી હોત તો હું બચી ગયો હોત. હું જલદી જન્મ લઈશ અને સારું કામ કરીશ. હવે હિંમત હારી ગયો છું.'


એક્ટર રાહુલ વોહરાના નિધનના સમાચાર ફેસબુક પર શેર કરતા થિયેટર ગુરુ અરવિંદ ગૌડે લખ્યું કે 'રાહુલ વોહરા જતો રહ્યો. મારો પ્રતિભાશાળી એક્ટર હવે નથી રહ્યો. રાહુલ અમે બધા તને બચાવી શક્યા નહીં, માફ કરજે, અમે તમારા અપરાધી છીએ. અહીં નોંધનીય છે કે એક્ટર રાહુલ વોહરાએ ગત અઠવાડિયે તેની ફેસબુક પોસ્ટમાં પોતાની સારવાર માટે મદદ માગી હતી. એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે 'હું કોરોના પોઝિટિવ છું અને દાખલ છું. લગભગ ૪ દિવસથી કોઈ રિકવરી નથી. શું કોઈ એવી હોસ્પિટલ છે જ્યાં મને ઓક્સિજન બેડ મળે કારણકે મારું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું છે. કોઈ સારસંભાળ રાખનાર પણ નથી.'