લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જાન્યુઆરી 2026 |
3861
રાજકોટ, રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામથી એક મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખોડલધામ ખાતે આયોજિત ‘કન્વીનર મીટ ૨૦૨૬’ દરમિયાન સંસ્થાના ચેરમેન નરેશ પટેલે આ મહત્વની જાહેરાત કરી હતી. ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે હવે અનાર પટેલના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય અનાર પટેલ હવે ખોડલધામના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરશે. ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ખોડલધામના સંગઠનને લગતી તમામ ગતિવિધિઓ અને વહીવટી કામકાજમાં અનાર પટેલ મુખ્ય ભૂમિકા ભજવશે. આ નિમણૂકથી સંગઠનમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અનાર પટેલ અગાઉ પણ અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા રહ્યા છે, ત્યારે હવે ખોડલધામ જેવા મોટા સંગઠનની કમાન તેમના હાથમાં આવતા સંગઠનને નવી ઊંચાઈ મળશે તેવું મનાઈ રહ્યું છે.