02, સપ્ટેમ્બર 2020
1386 |
દિલ્હી-
સરકાર તેનો રોજગાર કાર્યક્રમ મનરેગા ગામડાઓ સાથે શહેરોમાં લાવવાની યોજના બનાવી રહી છે. આ રોજગાર તે લોકોને આપવામાં આવશે જે કોરોનાથી લોકડાઉનને કારણે બેકાર બની ગયા છે. જો આ શક્ય બને તો શહેરોમાં પણ મોટી વસ્તીને રોજગાર મળશે.
મળતી માહિતી મુજબ આ રોજગાર કાર્યક્રમ પ્રારંભિક તબક્કે નાના શહેરોમાં લાગુ કરવામાં આવશે. આની પાછળની વિચારસરણી એ છે કે મોટાભાગે મોટા શહેરોમાં પ્રશિક્ષિત અથવા જાણકાર કામદારોની જરૂર હોય છે. જ્યારે નાના શહેરોમાં દૈનિક વેતન કામદારો માટે તાલીમ લેવાની જરૂર નથી. શરૂઆતમાં આના પર 3,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગયા વર્ષથી સરકાર આના પર વિચારણા કરી રહી છે. કોરોનાએ તેને વધુ ઝડપથી અમલમાં મૂકવાની તક આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ વર્ષે મનરેગા અંતર્ગત એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં કામદારોને ઓછામાં ઓછા 202 રૂપિયા રોજ મળે છે. તેમને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ કામ મળે છે. શહેરી વિસ્તારોમાં આના અમલથી કોરોનામાં બેરોજગાર લોકોને રોજગાર મળશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના જીડીપીના આંકડા દ્વારા એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ભારતને ઐતિહાસિક રીતે મોટો આંચકો મળ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીનો ગ્રોથ રેટ ઘટીને -23.9 ટકા થયો છે. મનરેગા હેઠળની મોટાભાગની નોકરી એવી છે કે જેને કોઈ તાલીમની જરૂર નથી. તેમાં માર્ગ મકાન, તળાવો અથવા કુવાઓના ખોદકામ અને અન્ય કામો શામેલ છે. આ અંતર્ગત હાલમાં 27 કરોડ લોકોને રોજગાર મળે છે. તેમાંના મોટા ભાગના એવા લોકો છે કે જે કોરોનાને કારણે શહેરોથી તેમના ગામોમાં પાછા ફર્યા છે.
કોવિડ -19 મહામારીએ પહેલાથી જ શહેરી વિસ્તારોના લોકો પર વધુ અસર કરી છે. જેને કારણે કામદારો માટે બેકારીની સમસ્યા ઉભી થઈ છે. એપ્રિલમાં, 12.1 મિલિયનથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. આ સાથે બેકારીનો દર વધીને 23 ટકા થઈ ગયો છે. જો કે, અનલોક કરવાનું શરૂ થયું ત્યારથી, બેકારીનો દર ઘટી રહ્યો છે.
વિશ્લેષકોનું માનવું છે કે શહેરોમાં મનરેગાના કાર્યકારીકરણને કારણે અર્થવ્યવસ્થા પણ ગતિ મેળવશે. હજી પણ બેરોજગાર છે તેવા લોકોને ફરીથી જીવન જીવવાનો ટેકો મળશે. હકીકતમાં, આર્થિક પ્રવૃત્તિ હજી પણ સંપૂર્ણ રીતે કાર્યરત નથી. તેથી ગામડાઓથી શહેરોમાં પરત ફરતી વસ્તી હજી પણ કામ શોધી રહી છે.