કોરોનાના સંકટ વચ્ચે રક્ષાબંધનનો તહેવારમાં શુ લઈ જવું તે અંગે બહેનો મુશ્કેલી અનુભવી રહી છે. પરંતુ કહેવાય છે કે ભાઈ બહેનનો સંબંધ અતૂટ અને ખાસ હોય છે. વિશ્વાસ અને પ્રેમથી સિંચાયેલા આ સંબંધને વધારે ખાસ બનાવવા માટે તમે આ વર્ષે ભાઈ અને પરિવારના અન્ય સભ્યો માટે ઘરે બનાવેલી મિઠાઈ લઈ જાઓ તે જ યોગ્ય છે. તો ઝડપથી તૈયારી કરી લો નારિયેળના સ્વાદિષ્ટ લાડુ બનાવવાની. જો તમે ઘરે જ મિઠાઈ બનાવવા ઈચ્છો છો તો તમારે ખાસ મહેનત કરવાની જરૂર નથી. તમે ફક્ત 3 ચીજની મદદથી 5 જ મિનિટમાં તમારા ભાઈ માટે જાતે મિઠાઈ તૈયાર કરી શકો છો. તો જાણી લો કઈ રીતે નારિયેળની છીણ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ઈલાયચીની મદદથી તમે ઘરે સરળ સ્ટેપમાં મિઠાઈ બનાવી શકશો.  

સામગ્રી :

2 વાટકી નારિયેળનું છીણ ,5 ઈલાયચીનો ભૂકો ,કન્ડેન્સ્ડ મિલ્ક જરૂર પ્રમાણે 

રીત :

એક બાઉલ લો. તેમાં નારિયેળનું છીણ અને ઈલાયચીનો ભૂકો બરોબર મિક્સ કરી લો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરો અને તેને બરોબર હલાવતા રહો. હવે તે એક સારી કન્ટન્ટસી મેળવશે. અને તમને તેના લાડુ વાળી શકશો. હથેળી પર તેના લાડુ વાળો. લાડુ વળી જાય એટલે એક અન્ય પ્લેટમાં નારિયેળનું છીણ લો અને લાડુને તેમાં રગદોળી લો. તૈયાર છે તમારા સિમ્પલ અને સુંદર લાડુ. આ મિઠાઈ તમે ભાઈને માટે લઈને જશો તો તે ખુશ થશે.  

નોંધ- તમે ઈચ્છો તો તેની પર સજાવટ માટે બદામની કતરી, કિશમિશ કે ગુલાબની પાંદડીઓ પણ મૂકી શકો છો.