હરિયાણા

હરિયાણામાં એક ગાયના પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક, ખિલ્લીઓ, ગ્લાસના ટુકડા અને સિક્કાઓ નિકળ્યા છે. ભારત સરકારે પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ તો મુક્યો છે પરંતુ તેનું અમલીકરણ જોવા નથી મળી રહ્યુ. પ્લાસ્ટીકનો કચરો ફક્ત પર્યાવરણ પર જ નહી પરંતુ રસ્તે રખડતાં પ્રાણીઓ માટે પણ હાનિકારક છે.

મળતી માહિતી અનુસાર હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં એક અકસ્માત દરમિયાન ઘાયલ થયેલી સગર્ભા ગાયની સર્જરી દરમિયાન તેના પેટમાંથી 71 કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો કાઢવામાં આવ્યો છે. ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની થેલીઓ, સોઇ, સિક્કાઓ, પથ્થર અને ખિલ્લીઓ નીકળી છે. સર્જરી કરી તેના પેટમાંથી કચરો તો કાઢવામાં આવ્યો પરંતુ ગાય અને તેના પેટમાં રહેલા બચ્ચાનું મૃત્યુ થયુ છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ગાયને એનઆઇટી-5 ફરીદાબાદથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી. જ્યાં એક કારે આ ગાયને ટક્કર મારી હતી. ગાયને ફરીદાબાદના દેવઆશ્રય હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં ગાય અત્યંત પીડાન કારણે પોતાના જ પેટ પર લાત મારી રહી હતી. ત્યારબાદ તેનું એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરતા ખબર પડી કે તેના પેટમાં હાનિકારક પદાર્થો છે. બાદમાં તેની સર્જરી કરીને કચરો કાઢવામાં આવ્યો પરંતુ તે બચી શકી નહી સાથે જ તેના અજન્મ્યા બચ્ચાંનું પણ મોત થયુ

ભારતના રસ્તાઓ પર લગભગ 5 મિલીયન જેટલી ગાયો રખડે છે. પોતાના માલિકો દ્વારા છોડી દેવામાં આવતા રસ્તાઓ પર ભટકી ખોરાક શોધવા મજબૂર ગાયો કચરામાંથી જે પણ ખાવા મળે એ ખાય લે છે. લોકો દ્વારા પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને ફેંકવામાં આવતા કચરાને ગાય અજાણતામાં ખાય લે છે અને પછી તે તેના મોતનું કારણ બની જાય છે.