શહેરમાં ૨૪૪ કિલો શંકાસ્પદ પનીર જપ્ત, અનેક ડેરી સીલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026  |   1485

અમદાવાદમાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે એએમસીના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.તાજેતરમાં કરાયેલી તપાસ દરમિયાન પનીરના નામે એનાલોગ પનીર વાપરવા અને અસ્વચ્છતાના મામલે બે જાણીતા ખાણી-પીણીના એકમોને સીલ કરવામાં આવ્યા છે. સાથે જ કુલ ૨૪૪ કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. એએમસીની ટીમે ગોતા વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણા ડેરીમાંથી ૧૪૦ કિલોગ્રામ અને નરોડા વિસ્તારમાં આવેલી રાધે ડેરીમાંથી ૧૦૪ કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે. આ તમામ જથ્થાના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.તપાસ દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પંજાબી તડકામાં ફૂડ લાઈસન્સ ન હોવાનું સામે આવ્યું. વધુમાં, મેનુમાં પનીર દર્શાવીને એનાલોગ પીરસવામાં આવતું હોવાનું જણાતા આ એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા પંજાબ દી મહેક ખાતે રસોડામાં ભારે ગંદકી અને જીવાતો મળી આવતા તેને પણ તાત્કાલિક સીલ કરવામાં આવ્યું છે.એએમસી ફૂડ વિભાગે છેલ્લા પાંચ શહેરના વિવિધ ઝોનમાં કુલ ૪૫૨ ખાદ્ય એકમોની તપાસ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution