લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, માર્ચ 2026 |
2178
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ૧૦-૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ૧૩ રૂપિયા હતી, જે હવે ઘટાડીને ૩ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ૧૦ રૂપિયા હતી, જે હવે ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. ક્રૂડ ઓઇલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, જેનાથી તેલ કંપનીઓ અને સામાન્ય લોકોને રાહત મળી છે. સરકારના આ પગલાથી તેલ કંપનીઓના માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતી અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ઇં૭૦થી વધીને ઇં૧૦૦થી વધુ થઈ ગયા છે. આનાથી તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનને ઓછું કરવા માટે, કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડશે, જેનાથી સામાન્ય માણસ પર બોજ વધશે. પરિણામે, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે.
• તો શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?: તેની શક્યતા ઓછી છે. ભલે સરકારે ટેક્સ ઘટાડ્યો હોય, પરંતુ પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવ સીધા સરકાર નક્કી કરતી નથી. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી તેલ કંપનીઓ ક્રૂડ ઓઇલની કિંમત અને તેમના નફાના આધારે ભાવ નક્કી કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓ આ છૂટનો ઉપયોગ તેમના અગાઉના નુકસાનની ભરપાઈ કરવા માટે કરશે.
• તો ભાવ વધે નહીં એટલે સરકારે આ પગલું ભર્યું?: આ ગ્લોબલ માર્કેટ પર ર્નિભર છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જાે પ.એશિયામાં તણાવ વધુ વધે, સપ્લાય ચેઇન ખોરવાય, તો ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઉપર જઈ શકે છે. આવી સ્થિતિમાં એક્સાઇઝ ડ્યુટીમાં કરવામાં આવેલો ઘટાડો ફક્ત એક ‘કુશન’ તરીકે કામ કરશે, જેથી કિંમતો ખૂબ વધારે ન વધે.
• આનાથી સરકારને નુકસાન થશે?: એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી કેન્દ્ર સરકારની આવકમાં ઘટાડો થશે. પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા અનુસાર, સરકારે આ ર્નિણય એટલા માટે લીધો જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા ‘આંચકા’ની સંપૂર્ણ અસર ભારતીય ગ્રાહકો પર ન પડે અને તેમને મોંઘવારીથી બચાવી શકાય.
• તેલ કંપનીઓ ભાવ કેમ ઘટાડવા નથી માગતી?: તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વેસ્ટ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે તેલ કંપનીઓ મોંઘું ક્રૂડ ખરીદી રહી હતી, પરંતુ તેમણે સ્થાનિક બજારમાં ભાવ વધાર્યા ન હતા. કંપનીઓ હવે આ ટેક્સ કપાતનો ઉપયોગ તે નુકસાનને ભરપાઈ કરવા અને તેમના માર્જિનને સ્થિર કરવા માટે કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેલ કંપનીઓ હાલમાં પેટ્રોલ પર ૨૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૩૦ રૂપિયા પ્રતિ લિટરનું નુકસાન સહન કરી રહી છે.
• પ્રાઈવેટ કંપનીઓ શું વલણ અપનાવી રહી છે?: પ્રાઇવેટ પ્લેયર્સ પહેલેથી જ દબાણમાં છે. સરકારના આ ર્નિણયના બરાબર એક દિવસ પહેલા જ નાયરા એનર્જીએ પેટ્રોલ રૂા.૫ પ્રતિ લિટર અને ડીઝલ રૂા.૩ મોંઘું કરી દીધું હતું. હવે ભોપાલમાં આ કંપનીનું પેટ્રોલ ૧૧૧.૭૨ રૂપિયા અને ડીઝલ ૯૪.૮૮ રૂપિયા પર પહોંચી ગયું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાઇવેટ પ્લેયર્સ માટે વર્તમાન ભાવે તેલ વેચવું મુશ્કેલ બની રહ્યું છે.
• રાજ્ય સરકારો પણ હવે વેટ ઘટાડશે?: સામાન્ય રીતે કેન્દ્ર દ્વારા ડ્યુટી ઘટાડ્યા પછી રાજ્યો પર પણ વેટ ઘટાડવાનું દબાણ વધે છે. જાે રાજ્ય સરકારો તેમના હિસ્સાનો ટેક્સ ઘટાડે છે, તો જ ગ્રાહકોને પંપ પર રૂા.૨ થી રૂા.૫ સુધીની વાસ્તવિક રાહત મળી શકે છે.
• ક્રૂડ ઓઇલ મોંઘું થાય ત્યારે કંપનીઓ ભાવ વધારે, પણ સસ્તું થાય ત્યારે ઘટાડતી કેમ નથી?: તેની પાછળ મુખ્યત્વે ‘અંડર-રિકવરી’નું ગણિત કામ કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અચાનક મોંઘું થાય છે, ત્યારે સરકારના દબાણ અથવા ચૂંટણી જેવા કારણોસર કંપનીઓ તરત જ કિંમતો વધારતી નથી અને નુકસાન સહન કરે છે. પછીથી જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું થાય છે, ત્યારે કંપનીઓ ભાવ ઘટાડવાને બદલે તે જૂના નુકસાનની ભરપાઈ કરે છે.
એક્સાઇઝ ડ્યૂટી શું છે?
આ એક પ્રકારનો ઈનડાયરેક્ટ ટેક્સ છે જે સામાનના ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરિંગ પર લગાવવામાં આવે છે. આ ટેક્સ કેન્દ્ર સરકાર વસૂલે છે. આનાથી સામાનની કિંમત વધી જાય છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારો ફછ્ લગાવે છે. પરંતુ હવે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.
મોંઘવારીને કાબૂમાં લેવાના પ્રયાસો
ડીઝલના ભાવ ઘટવાથી પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આનાથી ખાદ્ય ચીજવસ્તુઓ, શાકભાજી, દૈનિક જરૂરિયાતો અને ભાડાને પણ ફાયદો થઈ શકે છે. સરકાર માને છે કે આ પગલાથી મોંઘવારીને કાબુમાં કરવામાં મદદ મળશે. હવે બધાની નજર તેલ કંપનીઓ પર છે કે તેઓ આ એક્સાઇઝ ઘટાડાનો કેટલો હિસ્સો ગ્રાહકો સુધી પહોંચાડે છે. એવી પણ અપેક્ષા છે કે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારના વેટ ઘટાડાના ર્નિણયને સમર્થન આપશે, જેનાથી સામાન્ય જનતાને સંપૂર્ણ રાહત મળશે. એકંદરે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાને જનતા માટે નોંધપાત્ર રાહત માનવામાં આવી રહી છે, અને તેની અસર આગામી દિવસોમાં લોકોના ખિસ્સા અને બજાર બંને પર જાેવા મળશે.
કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂા.૨૪નું નુકસાન!
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં ઇંધણના ભાવ ૩૦% થી ૫૦% સુધી વધ્યા છે. ભારતમાં તેલ કંપનીઓ હાલમાં પેટ્રોલ પર પ્રતિ લિટર રૂા.૨૪ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂા.૩૦નું નુકસાન કરી રહી છે. કંપનીઓ પરના આ દબાણને ઓછું કરવા માટે કર ઘટાડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.