રાજકોટ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં રોજ ૧૦૦ ઉપર કેસની સંખ્યા નોંધાય રહી છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં ૪૫ કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૬૧૦૦ને પાર કરી ૬૧૩૩ પર પહોંચી છે. રાજકોટમાં હાલ ૯૭૨ દર્દી સારવાર હેઠળ છે. ૩૦૦થી વધુ દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે. ગઈકાલે મંગળવારે રાજકોટમાં ૧૦૮ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૫ દર્દીના મોત નીપજ્યા છે. પરંતુ આ મોત આ અંગેનો આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી લેશે.

કોરોનાની હજુ સુધી કોઈ વેક્સિન કે દવા શોધાઈ નથી અને રોગ એટલો ચેપી છે કે પોસ્ટમોર્ટમ કરીને રોગની અસરો જાણવા પણ મંજૂરી નથી. જાે કે રાજ્યમાં એકમાત્ર રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવા મંજૂરી અપાઈ છે અને અત્યાર સુધીમાં ૬ ઓટોપ્સી થઈ ચૂકી છે, આટલું જાેખમ લેવા પાછળનું કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરી સારવાર પદ્ધતિમાં સુધારો લાવવાનો છે.

પરીક્ષણ મામલે ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. હેતલ ક્્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં, જાે કે એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે આ કારણે જ્યારે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું. ફાઈબ્રોસિસ તો ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે પણ એ ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જાેવા મળેલું છે, સાચું કારણ તો રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.