લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
1782
અમદાવાદ શહેરમાં શેરબજારમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચમાં વેપારી સાથે ૧.૦૭ કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઠગે કંપની ઊભી કરાવવાનાં નામે અને મોતીલાલ ઓસવાલ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં રોકાણ કરાવવાનાં બહાને વેપારી પાસેથી રૂપિયા ૧.૩૮ કરોડ પડાવ્યા હતા. જાેકે, ઠગે બાદમાં તપાસમાં પોલ ખુલતા ૨૬.૪૯ લાખ રૂપિયા પરત આપી દીધા હતા. બાદમાં ઠગાઈ થઈ હોવાનું સામે આવતા ભોગ બનેલા વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ કરનાર સામે ફરિયાદ નોંધાવી છે. નારોલમાં રહેતા નિતિન સિંઘ નામના વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મિહિર પરીખ, ધારા પરીખ, ગીતા પરીખ (તમામ રહે, ઈન્સેપ્ટમ બિલ્ડિંગ, સેટેલાઈટ) અને હેમરાજસિંહ રાણા (રહે, ખોડીયારનગર) વિરૂદ્ધ ૧.૦૭ કરોડ રૂપિયા પડાવ્યાની ફરિયાદ કરી છે. આ કંપનીના માલિક વિવેક અગ્રવાલ અને તેની પત્નિ શ્રુતિ અગ્રવાલ છે. વિવેક અને શ્રુતિ સાથે યુવકે પત્ની, માતા અને પરિચિત સાથે મળીને ચીટિંગ આચર્યુ છે, જેના વતી નિતિન સિંગે ફરિયાદ કરી છે. આર્કેડિયર ઈન્ટરનેશનલ કંપનીના કર્મચારીઓના જુના વિમા ઉતારવા માટે અલગ-અલગ ફાયનાન્સિયલ કંપનીઓ સાથે કરાર કરતા હોય છે. જે અનુસંધાને એમ.પી.ગ્રુપ ઓફ કંપનીના ભાગીદાર મિહિર પરીખ સાથે ૮ વર્ષ પહેલા નિતિનની ઓળખાણ થઈ હતી. મિહિર ઈન્સ્યોરન્સ તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું કામ કરે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલન્સનો પણ વ્યવસાય કરે છે. વિવેક અગ્રવાલે તેમના પોતાના નામથી તેમજ પરિવારના સભ્યોના નામથી મિહિર પાસે અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાવ્યુ હતું. રોકાણ દરમિયાન ઠગ મિહિરે વિવેકને જણાવ્યુ હતું કે, આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમને લોન પણ મળશે, તમારે જરૂરીયાત હોય ત્યારે આ લોન વાપરી શકો છો. વિવેક સહિતના લોકોએ મિહિરની વાત પર વિશ્વાસ રાખ્યો હતો.