અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ આગામી દિવસોમાં ભરૂચ નગર પાલિકાની ચૂંટણી યોજવવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે. તેવામાં ભરૂચ નગરપાલિકાનાં તમામ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો ઉપર હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, તેમજ તેઓના દ્વારા આગામી ચૂંટણીને લઈ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના દરેક વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ૨૨ જેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઢંઢેરો (મેનીફેસટો) જાહેર કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્તાન નિર્માણ દળ આગામી ચૂંટણીમાં જીતીને આવશે, તો આ તમામ ૨૨ જેટલા મુદ્દાઓને પ્રથમ પ્રાથમિકતા આપી તેને પૂર્ણ કરવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું હતું, આ પ્રસંગે હિન્દુસ્તાન નિર્માણ દળના ધવલ કનોજીયા, રાજેશ પંડિત, સેજલ દેસાઈ સહિત પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસો અગાઉ એઆઈએમઆઈએમની એન્ટ્રીએ રાજકીય સમીકરણો ચર્ચાસ્પદ બનાવાયા હતા ત્યારબાદ ઓવૈસીએ સભા ગજવી પોતાની પાર્ટીનાં પ્રચારની શરૂઆત કરેલી ત્યારે આજે ડૉ. પ્રવીણ તોગડિયાએ એચએનડી (હિન્દુસ્તાન નિર્માળ દળ) પાર્ટીનાં હોદ્દેદારોએ પત્રકાર પરિષદ યોજી ભરૂચ નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠક પર પોતાના પાર્ટીનાં ઉમેદવારો ઊભા રાખવાની સત્તાવાર જાહેરાત કરતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ એચએનડી અને એઆઈએમઆઈએમ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની હોય લોકોમાં પણ ચર્ચાસ્પદ બની છે.