અમદાવાદ-

અમદાવાદ શહેરની એક દિવસની મુલાકાતે આવેલા એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની હાજરીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ઓવૈસીએ જણાવ્યું હતુ કે, આ મારી ઔપચારીક મુલાકાત છે. ખાસ તો સાબરમતી જેલમાં બંધ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદને મળવાનું આયોજન મુખ્ય હતું. પરંતુ જેલ સત્તાવાળાઓએ કોરોનાની મહામારી પછીની સાવચેતીના પગલા રૂપે અતિક અહેમદને મળવા દેવાયા ન હતા.

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ગુજરાતની મુલાકાતે આવવાનું મુખ્ય પ્રયોઝન સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ અતિક અહેમદને મળવાનું હતુ. અતિકને હાઈ સિક્યુરીટી હેઠળ રાખવામાં આવ્યો છે. જેલ સત્તાવાળાઓએ ઓવૈસીના અનેકે પ્રયત્નો છતા અતિક સાથે મુલાકાત કરવા દિધી ન હતી. આગામી ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને પ્રશ્ન પુછતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું તમામ આયોજન અમારા શહેર પ્રમુખ સાબીર કાબલીવાલાના માથે જવાબદારી આપવામાં આવી છે. પરંતુ અમે 85 થી 90 સીટ પર વિધાન સભાની ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યા છે. વધુમાં જણાવતા કતલખાનાઓ ગુજરાતમાં બંધ રાખવામાં આવ્યા તે સામે આક્રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કતલખાના બંધ રાખવાના નિર્ણયને હું પડકારુ છું, કયા નોટીફીકેશનના આધારે કતલખાના બંધ રાખવામાં આવ્યા, આ નિર્ણય રાઈટ ટુ ફુડનું ઉલઘ્ઘન છે. તેવુ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના મંત્રી મંડળમાં કરાયેલા ધરમુળથી પરિવર્તનના મામલે ઓવૈસીએ કહ્યું કે, કોરોના મળામારી દરમિયાન ભાજપ સરકારે મોતના આંકડા છુપાવીને પોતાની ગુનાહિત માનસિકતા છતી કરી છે. આંકડા છુપાવવા માટે સરકાર જવાબદાર છે. વિજય રૂપાણીનું રાજીનામુ લઈ લેવાયુ તે જ તેમની નિષ્ફળતા દર્શાવે છે. ચહેરો બદલવાથી ખરડાયેલી છબી સુધરવાની નથી. આંકડા અંગે કોંગ્રેસે પણ વારંવાર ધ્યાન દોર્યુ હતુ. હાઈકોર્ટે પણ આ બાબતને ગંભીરતાથી લેતા ગુજરાત સરકારને ચેતવણી આપી હતી. જ્યારે ઓવૈસીને પુછવામાં આવ્યું કે, ગુજરાતના કોંગ્રેસના એમએલએ સાથેના મુલાકાતનું પ્રયોજન શું છે ત્યારે તેના ઉપરમાં કહ્યું કે, હું મારા સમાજના ઉથ્થાન માટે અને તેમની પ્રગતિ થાય તે માટે આવ્યો છું, અમે કોંગ્રેસ સાથે બેસવાના નથી. કોંગ્રેસના ઉમેદવારને હરાવવા અમે ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેવા કોંગ્રેસના આક્ષેપ સામે જણાવ્યું કે, જો એવુ હોય તો રાહુલ ગાધી કેમ અમેઠીમાં હારી ગયા. અમેઠીમાં અમારો એક પણ ઉમેદવાર ન હતો. કોંગ્રેસના મોટાભાગના ધારા સભ્યો કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા તેમા શું અમારો વાક હતો. કોંગ્રેસે પોતાના ઘરમાં લાગેલી આગ ઠારવા પ્રયાસ કરવા જોઈએ તેવુ ઓવૈસીએ જણાવ્યું હતું.

ગુજરાતની અમદાવાદની મુલાકત માં ઓવૈસીએ શહેરની મિરઝાપુર અને દરિયાપુરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમનુ મુસ્લિમ સમાજના બિરાદરોએ સ્વાગત કર્યુ હતુ. એટલુ જ નહીં આ સ્વાગત દરમિયાન દરિયાપુર વિસ્તારમાંથી ટોળાઓમાં કેટલાક લોકોના પાર્કીટની પણ ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ટોળામાં ડી સ્ટાફના બે કોન્સ્ટેબલના પણ પાર્કીટ ચોરી થઈ ગયા હોવાથી ચોરને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.