એમપીના ભોપાલમાં ૨૦ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ જન્મેલા અન્નુ કપૂરે વર્ષ ૧૯૮૩માં ફિલ્મ ‘મંડી’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી અન્નુ કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય બતાવ્યો. ફિલ્મો ઉપરાંત અન્નુ કપૂર ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો પણ રહી ચૂક્યા છે. ઘણા સંઘર્ષ પછી પોતાની ઓળખ બનાવનાર અન્નુ કપૂરનું અંગત જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. શરૂઆતમાં તેઓ અભિનેતા નહીં પણ આઈએએસ બનવા માંગતા હતા. પરંતુ આર્થિક સંકડામણના કારણે તેઓ આ સપનાંને પૂર્ણ કરી શક્યા નહોતા. જીવનના સંઘર્ષના દિવસોમાં અનુ કપૂરે ચાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. આ ઉપરાંત તેમણે લોટરીની ટિકિટો વેચી હતી. ટીવી પર આવતો મ્યુઝિકલ શો ‘અંતાક્ષરી’ ભાગ્યે જ કોઈએ જાેયો નહીં હોય. અન્નુ કપૂર ‘અંતાક્ષરી’ શોને હોસ્ટ કરતા હતા. અન્નુએ વર્ષ ૧૯૮૩માં ફિલ્મ મંડીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ બોલિવૂડમાં તેને ફિલ્મ ‘ઉત્સવ’થી ઓળખ મળી હતી. આ ફિલ્મ માટે અન્નુને કોમિક રોલમાં બેસ્ટ પરફોર્મન્સ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અન્નુ કપૂરની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. અન્નુ કપૂરે પ્રોફેશનલ મોરચે ઘણું નામ કમાવ્યું પરંતુ તેના લગ્ન જીવનમાં ઘણા વળાંકો આવ્યા. અન્નુ કપૂરની પત્ની અનુપમા અમેરિકન હતી, બંનેએ વર્ષ ૧૯૯૨માં લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષ પછી જ છૂટા થઈ ગયા હતા. તેમની પહેલી પત્ની અનુપમા યુએસની હતી અને અન્નુ કપૂરથી ૧૩ વર્ષ નાની હતી. આ પછી અનુના જીવનમાં અરુણિતાનો પ્રવેશ થયો, બંનેએ લગ્ન કરી લીધા અને બંનેને એક પુત્રી પણ છે. પરંતુ અભિનેતા ફરીથી તેની પ્રથમ પત્ની અનુપમાના પ્રેમમાં પડ્યો. અરુણિતાથી અલગ થયાના થોડા સમય પછી, અન્નુએ ૨૦૦૮માં તેની પ્રથમ પત્ની અનુપમા સાથે ફરીથી લગ્ન કર્યા હતા.