અમદાવાદ-

ગુજરાત સરકાર દ્વારા ગુન્હાખોરીને કાબુમાં કરવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવવામાં આવ્યો છે, ત્યારે આ કાયદા હેઠળ જામનગર જીલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે, જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ ફરતે કાયદાનો ગાળિયો વધુ મજબુત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ સહીત તેની ગેન્ગના 14 સાગરીતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધ્યો હોવાની વાતને એસ.પી.દીપન ભદ્રને સમર્થન આપ્યું છે. જો કે આ મામલે સતાવાર તમામ વિગતો આજે સાંજે DIGP જાહેર કરશે તેમ જાણવા મળે છે.

ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો અમલી છે, આ કાયદાના મદદથી કોન્ટ્રાક્ટ કિલીંગ, ધાકધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, કેફી દ્રવ્યોનો વેપાર, અપહરણ, ખંડણી, ફરજી સ્કીમ ચલાવાવ જેવા ગુનાઓ નિયંત્રિત થશે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંદર્ભે વધુ પુરાવાઓ એકત્રિત કરવામાં કાયદાકીય પીઠબળ મળશે. 

ગુજકોકના માધ્યમથી જે આરોપીઓ પકડાય તેઓને સજા સુધી પહોંચાડવા સરકારી વકીલ આ અંગેના કેસ લડશે તેવી વ્યવસ્થા કરાશે. ગુનેગારો માટે વિશેષ કોર્ટની પણ રચના કરવામાં આવશે. આ કાયદામાં સંદેશાવ્યવહારને આંતરીને એકઠા કરાયેલા પુરાવા ગ્રાહ્ય રહેશે. તેમજ સાક્ષીઓને પણ પૂરતુ રક્ષણ આપવામાં આવશે.