દિલ્હી-

ભારતીય જનતા પાર્ટીનો આજે ૪૧મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. તેમણે પાર્ટી કાર્યકર્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું હ્‌તું કે, તેમના જ યોગદાનના કારને આજે ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ ઉપરાંત તેમણે દેશના નાના ખેડૂતો, રેકડીવાળા અને મહિલાઓ માટે શરૂ કરેલી યોજનાઓ અને તેનાથી થતા લાભોનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, પાર્ટીની ગૌરવશાળી યાત્રાના આજે ૪૧ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ ૪૧ વર્ષ એ વાતની સાક્ષી પૂરે છે કે સેવા અને સમર્પણ સાથે કોઈ પાર્ટી કેવી રીતે કામ કરે છે. ભાજપને આકાર અને વિસ્તાર આપનારા અમારા આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જાેશીજી જેવા અનેક વરિષ્ઠોના આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભાજપ ફક્ત એક ચૂંટણી જીતવાનું મશીન જ નથી, અમને દરેક સંપ્રદાયનું સમર્થન મળી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભાજપ શરૂઆતથી જ માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ છે. કાર્યકરોના ત્યાગ, સંકલ્પથી પાર્ટી આગળ વધી છે. આ સાથે પીએમ મોદીએ આ અવસરે પાર્ટીના વરિષ્ઠ નેતાઓના યોગદાન ઉપર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું હતું કે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી, અટલ બિહારી વાજપેયીજી, કુશાભાઉ ઠાકરેજી, રાજમાતા સિંધિયાજી જેવા અગણિત મહાન વ્યક્તિત્વોને ભાજપના પ્રત્યેક કાર્યકર તરફથી હું શ્રદ્ધાંજલિ આપું છું. શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. દેશનો કદાચ જ કોઈ એવું રાજ્ય કે જિલ્લો હશે જ્યાં પાર્ટી માટે ૨-૩ પેઢીઓ કાર્યરત ન હોય. હું આ અવસરે જનસંઘથી લઈને ભાજપ સુધીના રાષ્ટ્રસેવાના આ યજ્ઞમાં પોતાનું યોગદાન આપનારા દરેક વ્યક્તિને આદરપૂર્વક નમન કરું છું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની શક્તિ છે કે આપણે તેમનું સપનું પૂરું કરી શકયા. કલમ ૩૭૦ હટાવીને કાસ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. તેમણે કહ્યું હતું કે, ગત વર્ષ કોરોનાએ સમગ્ર દેશ સામે એક અભૂતપૂર્વ સંકટ ઊભું કરી દીધુ હતું. ત્યારે તમે બધા પોતાનું દુઃખ ભૂલાવી દેશવાસીઓની સેવાઓમાં લાગેલા રહ્યા. તમે સેવા જ સંગઠનનો સંકલ્પ લીધો અને તે માટે કામ કર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીજી કહેતા હતા કે ર્નિણય અને યોજનાઓ એવી હોવી જાેઈએ જે સમાજની છેલ્લી હરોળમાં ઊભેલા વ્યક્તિ સુધી લાભ પહોંચાડે. ગાંધીજીની તે મૂળ ભાવનાને ચરિતાર્થ કરવા માટે આપણે અથાગ પ્રયત્નો કર્યા છે. અમારી સરકારનું મૂલ્યાંકન તેની ડિલિવરી સિસ્ટમથી થાય છે. આ દેશમાં સરકારોના કામકાજનો નવો મૂળમંત્ર બની રહ્યો છે. આમ છતાં દુર્ભાગ્ય એ છે કે ભાજપ જાે ચૂંટણી જીતે તો તેને ચૂંટણી જીતવાનું મશીન કહેવાય છે.