અમદાવાદ-

શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે. રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.તેવામાં શિક્ષકોના કામના કલાક વધારીને 8 કલાક કરી દેવાયો છે.પાટણમાં આ મુદ્દે વિરોધ શરૂ થયો છે.પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે શિક્ષણપ્રધાનને પત્ર લખ્યો છે.કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે સરકાર શિક્ષકો સાથે અન્યાય કરી રહી છે.એક તરફ સરકાર શિક્ષકને ભગવાન પછીનો દરજ્જો આપે છે.જ્યારે બીજીતરફ શિક્ષકોને અન્યાય કરવામાં આવે છે.જો સરકાર શિક્ષકો મુદ્દે યોગ્ય નિર્ણય નહીં કરે તો તેઓ શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મહત્વનું છે કે શિક્ષકોનો કામનો સમય સવારે 9.30થી સાંજે 5.30 કરી દેવાયો છે. આ પહેલા શિક્ષકોના કામનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હતો.રાજ્યમાં સરકારે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળાઓમાં 6 ને બદલે 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે, અને આ આદેશ પાછળ રાઈટ ટુ એજ્યુકેશન 2009 ની જોગવાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. સરકારના આ આદેશ ને પગલે હવે શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક એમ અઠવાડિયાના કુલ 45 કલાક શાળામાં હાજર રહેવા કહ્યું છે.