પાકિસ્તાની સેના પર 'બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ' દ્વારા જીવલેણ હુમલો, મોટી સંખ્યામાં સૈનિકોના મોતની આશંકા
25, સપ્ટેમ્બર 2021

બલુચિસ્તાન-

બલોચ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો કર્યો છે. આ હુમલો રોકેટ અને અન્ય ઘાતક હથિયારોથી કરવામાં આવ્યો છે. ઘટના અવારણ જિલ્લાના પીરંજર વિસ્તારની છે. આ સ્થળ બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. એવી આશંકા છે કે મોટી સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, IED હુમલામાં પાકિસ્તાન સેનાનું વાહન નાશ પામ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેનાના વાહન પર પાકિસ્તાનનો ધ્વજ હતો. આ હુમલામાં બે લોકો મૃત્યુ પામ્યા છે અને પાંચ ઘાયલ થયા છે. માર્યા ગયેલા સૈનિકોમાં પાકિસ્તાન આર્મીના સૈનિક લાન્સ નાઇક મોહમ્મદ મુનીરનું નામ સામેલ છે. તેમજ બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ મામલે BLF ના પ્રવક્તાનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયા છે.

હુમલો કેમ કરવામાં આવ્યો?

પાકિસ્તાની સેના પર હુમલો કરવામાં આવ્યો કારણ કે આ લોકો વિસ્તારમાં ઓપરેશન કરવા આવ્યા હતા. અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે, તે સ્પષ્ટપણે જાણી શકાયું નથી. આ મામલે પાકિસ્તાન સેના દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી, ન તો હુમલા અથવા સૈનિકોના મૃત્યુની કોઈ પુષ્ટિ થઈ છે. જોકે પાકિસ્તાન આર્મી પર હંમેશા બલુચિસ્તાનના લોકોને ત્રાસ આપવા અને મારવાનો આરોપ લાગ્યો છે.

અગાઉ પણ સેના પર હુમલો થયો હતો

લગભગ ત્રણ મહિના પહેલા બલુચિસ્તાનમાં જ પાકિસ્તાનની સેના પર મોટો હુમલો થયો હતો. જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ 27 ઘાયલ થયા હતા. બાદમાં, પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ, ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે હુમલાની પુષ્ટિ કરી હતી. સેના પર હુમલા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બંદૂકધારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાની સેના બલુચિસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ પાકિસ્તાની તાલિબાનના હુમલાનો સામનો કરી રહી છે. આ વર્ષે સેના પર ઘણા જીવલેણ હુમલા થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution