GSTમાં ફેરફાર : ૧૨% અને ૨૮% ના ટેક્સ સ્લેબ નાબૂદ કરવા મંજૂરી
21, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   7821   |  

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ GST દરો પરના મંત્રીઓના જૂથ (GoM) એ કેન્દ્રના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ મુજબ, હાલના ચાર સ્લેબ (૫%, ૧૨%, ૧૮% અને ૨૮%) ને બદલે હવે માત્ર બે સ્લેબ, ૫% અને ૧૮%, રહેશે.

આ નવા ફેરફાર બાદ, GST સ્લેબની સંખ્યા ૪ થી ઘટીને ૨ થઈ જશે. આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પર ૫% ટેક્સ લાગશે, જ્યારે સામાન્ય શ્રેણીના માલ અને સેવાઓ પર ૧૮% ટેક્સ લાગશે. પસંદગીના વૈભવી અને હાનિકારક ઉત્પાદનો પર ૪૦% ટેક્સ યથાવત રહેશે. આ ફેરફારની સામાન્ય માણસને સીધી રાહત મળી શકે છે, કારણ કે મોટાભાગની વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે.

GoM ના નિર્ણય મુજબ, હાલમાં ૧૨% GST સ્લેબ હેઠળ આવતી લગભગ ૯૯% વસ્તુઓને ૫% ના સ્લેબમાં ખસેડવામાં આવશે. આ ઉપરાંત, ૨૮% GST વાળી ૯૦% વસ્તુઓને ઘટાડીને ૧૮% ના સ્લેબમાં લાવવામાં આવશે. આનાથી ઘણા ઉત્પાદનો અને સેવાઓ પરનો ટેક્સ ઘટશે, જેના કારણે સામાન્ય લોકોના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ઉપરાંત યુપીના નાણામંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ, પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના મહેસૂલ મંત્રી કૃષ્ણ બાયરે ગૌડા અને કેરળના નાણામંત્રી કે.એન. બાલગોપાલ પણ હાજર હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution