અમદાવાદ-

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી એન્ટ્રી કરી રહી છે,ત્યારે અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો કે ભાજપે ગુજરાતમાં મતોને વિભાજન કરવા માટે તેમની બી ટીમને ઓવૈસીની પાર્ટીમાં ઉતારી છે. ભાજપ રાજ્યની ૧૮૨ બેઠકો જીતવા માંગે છે, જેના માટે ઓવૈસી મોહરાને ગુજરાતમાં બોલાવવામાં આવ્યા છે. કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલનું રાજ્યમાં ૧૮૨ બેઠકો પર જીતવાનું સ્વપ્ન છે. આથી ઓવૈસીને ગુજરાત લાવવામાં આવ્યા છે. ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. આ પાર્ટીને ગુજરાતમાં લાવવામાં પાછળ કોનો હાથ છે તેનો પ્રજા સારી રીતે જાણે છે. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ કહ્યું કે,

એઆઈએમઆઈએમ પ્રમુખ સાબીર કાબલીવાલા ૧૦ વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય છે પરંતુ તેમણે સમાજ માટે કોઈ કામ કર્યું નથી. ૨૦૧૨ ની ચૂંટણીમાં કાબલીવાલાની ભૂમિકાને કારણે ૭૦૦ વર્ષમાં પહેલી વાર કોંગ્રેસ જમાલપુર બેઠક ગુમાવી હતી. કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, જાે એઆઈએમઆઈએમ પ્રમુખ કાબલીવાલા જાે જમાલપુર વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે છે, તો તે પોતે પણ તેમની સામે ઉભા રહેશે અને તેને જીતી લેશે. કાબલીવાલા ૨૦૦૭માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જમાલપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. છીપા સમાજના અગ્રણી કાબલીવાલાને કોંગ્રેસ ટિકિટ ના આપતાં ૨૦૧૨માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું પણ હારી ગયા હતા. જાે કે કાબલીવાલાએ ૩૦ હજાર કરતાં વધારે મત મેળવીને કોંગ્રેસના ઉમેદવારને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કાબલીવાલા સતત તેમને મળતા રહેતા હોવાથી કાબલીવાલા ભાજપમાં જાેડાઈ જશે એવી અટકળો ચાલી હતી પણ છેવટે કાબલીવાલા ભાજપમાં નહોતા જાેડાયા. કાબલીવાલા મોદીની નિકટ હોવાની ચર્ચા પણ ચાલી હતી.