મુંબઈ-

હાલમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જલગાંવના કન્નડ ઘાટમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જ્યારે કેટલાક વાહનોને નુક્સાન પણ પહોંચ્યું હતું. સ્થાનિક પ્રશાસન દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે લોકોએ આ રૂટ પરથી પ્રવાસનું આયોજન કર્યું હોય, તેમને મુલતવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. થાણે અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. કાંદિવલી, બોરીવલી, મલાડ, ગોરેગાંવ, અંધેરી સહિત અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. મુંબઈના પૂર્વ અને પશ્ચિમ રાજમાર્ગો પર સંપૂર્ણ અંધકાર છે. આ વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર કલાક ભારે વરસાદની આગાહી છે. પાલઘર જિલ્લામાં પશ્ચિમ ધારના પટ્ટામાં વરસાદની તીવ્રતામાં ભારે વધારો થયો છે.