ગાંધીનગર-

૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ૧૫ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આવતીકાલે એટલે મંગળવારે પરિણામ આવશે. જાેવાનું એ રહેશે કે જે પ્રકારે છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે તે જ પ્રકારે ભાજપ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં કબ્જે કરે છે કે પછી કોંગ્રેસ બચેલી શાખને બચાવે છે. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જાેવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જાેવા મળ્યું. ત્યારે જાેવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે.

જેમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૬.૬૦ ટકા મતદાન યોજાયું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ ૬૫.૮૦ ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં ૫૮.૮૨ ટકા મતદાન થયું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ ૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ૪૭.૬૩ ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં ૬૮.૬૫ ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૬૩.૩૪ ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ ૨ માર્ચના રોજ આવશે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠકમાંથી ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે.