કોરોના મહામારીમાં હવે દૂધ મંડળીઓ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2021  |   10296

ગાંધીનગર-

બનાસકાંઠા દૂધ મંડળીએ ૨૦ ક્યુબિક મીટર કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી નવી રાહ ચીંધી છે. ત્યારે અન્ય દૂધ મંડળીઓને પણ ઓક્સિજન પ્લાન્ટની જવાબદારી સોંપાઈ છે. સરકારે આદેશ કરતા સુરતમાં સુમુલ ડેરી, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સુગર ફેક્ટરીઓ ભેગા મળીને સુરત અને તાપી જિલ્લામાં પ્લાન્ટ નાંખવા મુદ્દે ત્રીજી મેને સોમવારના રોજ બેઠક કરશે.

મહેસાણાના દૂધસાગર ડેરી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે, તેવા એક અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે ૩૫ દર્દીને ઓક્સિજન સાથેની સારવાર મળી શકશે. ૨૦ એમકયુંનો પ્લાન્ટ સ્થાપશે. ડેરી દ્વારા આ પ્લાન્ટ જિલ્લાની હોસ્પિટલને અપાશે. ડેરી પણ આગામી સમયમાં ૩૫ બેડની કોવિડ સેન્ટર સ્થાપી શકે છે. ચેરમેન અશોક ચૌધરી દ્વારા ઓર્ડર અપાયો છે. પ્લાન્ટ કાર્યરત થતાં ૨૦ દિવસનો સમયગાળો લાગશે.

ખાનગી હોસ્પિટલ તો ઠીક પરંતુ સરકારી હોસ્પિટલે પણ લોકો માટે દરવાજા બંધ કરી દેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સુરતની ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા તંત્ર રાત-દિવસ એક કરી રહ્યા છે. જાેકે, આગામી દિવસમાં ઓક્સિજનની માંગ વધે અને જરૂરિયાતને પહોંચી વળવા સરકારે રાજ્યની દૂધ મંડળીઓને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા આદેશ કર્યો છે.

રાજ્યની અન્ય દૂધ મંડળીઓ પણ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરે તે માટે ગુરુવારે સત્તાવાર પરિપત્ર જારી કર્યો હતો. દરમિયાન સુરતમાં સુમુલ ડેરી છે. પરંતુ સુમુલ ડેરી એકલા હાથે ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરી શકે તેવી સંભાવના નહીં હોવાથી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક તથા સુગર ફેક્ટરીઓ સાથે મળી સુરત અને તાપી જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution