કોરોના કાળમાં આજે લગભગ ૧૨૯ દિવસ બાદ વનડે ક્રિકેટની વાપસી થઇ રહી છે. કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે લગભગ ચાર મહિનાથી ક્રિકેટની ગતિવિધિઓ સંપૂર્ણપણે બધં હતી. જોકે, ટેસ્ટ ક્રિકેટની ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સીરીઝથી વાપસી થઇ ચૂકી છે, અને હવે આજે ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે.

કોરોનાવાયરસ વચ્ચે 138 દિવસ પછી ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ સીરિઝથી વનડે ક્રિકેટની વાપસી થઈ રહી છે. બંને દેશો વચ્ચે 3 વનડે રમાશે. ત્રણેય મેચ સાઉથહેમ્પટનના રોઝ બાઉલ મેદાન પર રમવામાં આવશે. પહેલી મેચ 30 જુલાઈ, બીજી 1 ઓગસ્ટ અને ત્રીજી 4 ઓગસ્ટે રમાશે. 13 માર્ચે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ વનડે રમાઈ હતી. તે મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.

આ ભારતમાં થનાર વનડે વર્લ્ડ કપના ક્વોલિફાયર ટૂર્નામેન્ટ સુપર લીગ હેઠળ પ્રથમ સીરિઝ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સોમવારે જ આ ટૂર્નામેન્ટને લોન્ચ કરી છે. આ લીગમાં વર્લ્ડની ટોપ 12 ટીમો અને નેધરલેન્ડસ્ રમશે. દરેક દેશ ઘરઆંગણે અને વિદેશમાં 3 વનડેની 4-4 સીરિઝ રમશે. લીગના અંતે ભારતને બાદ કરતાં વર્લ્ડની ટોપ 7 ટીમો ઓક્ટોબર-નવેમ્બર 2023માં થનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થશે. યજમાન હોવાથી ભારતને 2023ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી છે. જ્યારે નેધરલેન્ડસ્ 2015-17 વર્લ્ડ ક્રિકેટ સુપર લીગ જીતીને ક્વોલિફાય કરવાની રેસમાં જોડાયું છે.