21, જુલાઈ 2021
જૂનાગઢ-
જૂનાગઢ પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
રાજ્યમાં ઉત્તરોત્તર કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. તો રાજ્યમાં ધંધા-રોજગારને પણ છૂટછાટ આપવામાં આવી તો કોલેજ અને ધોરણ-૧૨ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે. હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે ર્નિણય લેવાશે.રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.