વડોદરાથી ભરુચ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર  આખરે રિપેરીંની કામગીરી શરૃ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2025  |   વડોદરા   |   18711

સાંકડા બ્રિજ અને ખાડાના કારણે અવાર-નવાર ટ્રાફીક જામ સર્જાય છે

ભારે વરસાદ કારણે ૦.૬ કિલોમીટરના છૂટાછવાયા વિસ્તારોને પહોંચ્યું હતું નુકસાન

વડોદરા ભરૃચ વચ્ચે નેશનલ હાઈવે-૪૮ ઉપર સાંકડા બ્રિજ અને રસ્તા ઉપર પડેલા ખાડાના કારણે અવાર નવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. અનેક વખત 10 કી.મી. સુધી લાંબી લાઈનો લાગે છે. ત્યાં મુખ્યમંત્રી દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરવા સૂચના આપી છે, ત્યારે વડોદરાથી ભરૂચ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર રીપેરીંગની કામગીરી શરૃ કરવામાં આવી છે..

        એક મહિનાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદ અને વાહનોની સતત અવરજવરને કારણે જાંબુઆ, પોર અને બામણગામ નજીકના સાંકડા પુલો પર તેમજ ભરૂચ ખાતે નર્મદા બ્રિજના એપ્રોચ પર આશરે ૦.૬ કિલોમીટરના છૂટાછવાયા વિસ્તારોમાં માર્ગને નુકસાન થયું હતું. ત્યારે આ નુકસાનના સમારકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના PIU-એકતા નગર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

  જૂન-૨૦૨૫ થી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કુલ ૨૮૦.૯૫ ક્યુબિક મીટર હોટ મિક્સ મટિરિયલ ઓવરલે, ૨૮.૧૪ ક્યુબિક મીટર કોલ્ડ મિક્સ મટિરિયલ, ૭૮ ક્યુબિક મીટર ગ્રેન્યુલર સબ-બેઝ મટિરિયલ અને ૪૬૫.૧ ચોરસ મીટર પેવર બ્લોક્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમારકામના કાર્યને ઝડપી બનાવવા માટે ૫ બેકહો લોડર, ૩૦ ટિપર, ૩ પેવર, ૪ રોલર, ૨૧ ટ્રેક્ટર અને ૧૪૩ મજૂરો સહિત કુલ ૨૦૬ સાધનો અને માનવબળ તૈનાત કરવામાં આવ્યા છે.

 આ સાથે જ વરસાદની મોસમ દરમિયાન ટ્રાફિકનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે, એક ઘટના વ્યવસ્થાપન ટીમ પણ કાર્યરત કરાઈ છે. જેમાં ૪ રૂટ પેટ્રોલ વાહનો, ૩ ક્રેન અને ૩ એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે.





© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution