બાળકીઓના માબાપના લોહીમાં ઊંઘની દવા મળી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026  |   2178

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચર્ચિત કિસ્સામાં હાલ એક મોટો વળાંક આવ્યો છે. ચાંદખેડામાં બે બાળકીઓના મોત મામલે ખબર સામે આવી છે. આ ઘટનામાં માતા-પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાની હાજરી મળી આવતા કેસ એક નવા વળાંક પર આવીને ઉભો રહ્યો છે.

માતા-પિતાના બ્લડ સેમ્પલમાં સામાન્ય પ્રમાણમાં ઊંઘની દવાની હાજરી મળી છે, જેના કારણે બાળકોમાં આ જ દવાની હાજરી મળે છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલ દરેક પહેલીઓ પર તપાસ કરી રહી છે, જેના કારણે ઘટનામાં કોઈ કાચું ના કપાય. બ્લડ સેમ્પલમાં મળેલી ઊંઘની દવાની હાજરી કઈ રીતે મળે છે તેને લઇને વધુ તપાસ શરૂ કરાઈ છે. જે એફએસએલ રિપોર્ટ બાદ જ મોત અંગે સત્ય બહાર આવશે. બીજી બાજુ, પોલીસે માતા-પિતાના નિવેદન નોંધ્યા હતા, જેમાં બન્ને જણાં એક જ રટણ કરી રહ્યા છે કે ખીરુંમાંથી ઢોસા બનાવી ખાદ્યા બાદ બન્ને બાળકીઓના મોત થયા છે. બન્ને બાળકીઓના મૉત બાદ માતા-પિતાની પણ તબિયત બગડી હતી, જેઓની તબિયત તો હાલ હોસ્પિટલમાં સુધારા પર છે. જાેકે, તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના કારણે સાચું કારણ જાણી શકાય. માતા-પિતાના લોહીના સેમ્પલમાં સામાન્ય પ્રમાણમાં ઊંઘની દવાની હાજરી જાેવા મળી છે, જેના કારણે પોલીસને ક્યાંકને ક્યાંક શંકા ઉદ્દભવી છે.

હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું બાળકીઓના શરીરમાં પણ આ જ દવાની હાજરી હતી? પરંતુ બાળકોના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે માતા-પિતાના શરીરમાં ઊંઘની દવા કઈ રીતે પહોંચી અને શું આ દવાના કારણે જ બન્ને બાળકોના મોત નિપજ્યા છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ ક્યાંક કાચું ના કપાય તેના કારણે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. પરિવાર વારંવાર જણાવી રહ્યો છે કે ઘરે લાવેલા ખીરું ખાધા બાદ આખી રાત પરિવારની તબિયત બગડી હતી.

માતા-પિતાનું અનુમાન છે કે કદાચ ખીરામાં ગરોળી જેવું કોઈ ઝેરી જંતુ પડ્યું હોવાને કારણે આ ઘટના બની હોય. પોલીસે હવે માતા-પિતાના નિવેદન બાદ એફએસએલરિપોર્ટનો સહારો લીધો છે. ખીરું વેચનાર દુકાનદાર પાસેથી જે અન્ય ગ્રાહકોએ ખીરું લીધું હતું, તેમના પણ નિવેદન લેવામાં આવ્યા છે, પરંતુ અન્ય કોઈ ગ્રાહકને આવી તકલીફ થઈ હોવાનું સામે આવ્યું નથી. હાલમાં ચાંદખેડા પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટ્સ આ તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે.એફએસએલનો ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્યમય મોત પરથી પડદો ઊંચકાશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution