પત્રકાર વિનોદ દુઆને સુપ્રીમ કોર્ટથી રાહત, યુટ્યુબ પ્રોગ્રામ ઉપર દેશદ્રોહનો કેસ રદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2021  |   9999

મુંબઇ

પત્રકાર વિનોદ દુઆને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેમની સામે દેશદ્રોહનો કેસ રદ કર્યો છે. હિમાચલ પ્રદેશમાં પત્રકાર વિનોદ દુઆ સામે દેશદ્રોહનો કેસ દાખલ થયો હતો. અરજીમાં સિમલામાં વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ સામે નોંધાયેલા રાજદ્રોહના કેસને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. વિનોદ દુઆ સામે હિમાચલ પ્રદેશમાં ભાજપના સ્થાનિક નેતા દ્વારા એફઆઈઆર નોંધાઈ હતી. ભાજપના નેતાએ તેમના એક યુટ્યુબ પ્રોગ્રામ અંગે આ એફઆઈઆર નોંધાવી હતી.

ન્યાયાધીશ યુ.યુ. લલિત અને વિનીત સરનની ખંડપીઠે ગત વર્ષે ઓક્ટોબરના રોજ દુઆ, હિમાચલ પ્રદેશ સરકાર અને આ મામલે ફરિયાદીની દલીલો સાંભળ્યા બાદ અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. 20 જુલાઇએ, સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈ પણ દબાણયુક્ત કાર્યવાહીથી વિનોદ દુઆને સંરક્ષણ આપેલા આગળના આદેશો સુધી લંબાવી રાખ્યું હતું.

યુ ટ્યુબ પ્રોગ્રામ અંગે એફઆઈઆર નોંધાઈ

કોર્ટે કહ્યું હતું કે દુઆને હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા આ મામલે પૂછવામાં આવતા પૂરક સવાલોના જવાબની જરૂર નથી. 6 મેના રોજ ભાજપના નેતા શ્યામે તેના યુટ્યુબ પ્રોગ્રામના સંદર્ભમાં સિમલાના કુમાર્સેન પોલીસ સ્ટેશનમાં દુઆ સામે એફઆઈઆર નોંધાવી હતી. અરજદારે એવી રજૂઆત કરી હતી કે દુઆએ તેના યુટ્યુબ પ્રોગ્રામ 'ધ વિનોદ દુઆ શો'માં વિવાદાસ્પદ શબ્દો બોલાવ્યા હતા જે સાંપ્રદાયિક દ્વેષ ઉભો કરી શકે છે અને શાંતિ અને કોમી તકરાર તરફ દોરી શકે છે.

દુઆ ઉપર આ આરોપ લગાવ્યો હતો

શ્યામે આરોપ લગાવ્યો હતો કે દુઆએ તેના યુટ્યુબ શોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મત મેળવવા માટે "મૃત્યુ અને આતંકવાદી હુમલા" નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અગાઉ ગત વર્ષે 14 જૂને સુપ્રીમ કોર્ટે અણધારી સુનાવણીમાં આગળના આદેશ સુધી વિનોદ દુઆને ધરપકડથી રક્ષણ આપ્યું હતું.

જોકે, કોર્ટે તેની વિરુદ્ધ ચાલી રહેલ તપાસને રોકવાનો ઈનકાર કરી દીધો હતો. દુઆએ તેની વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર રદ કરવા અદાલતમાં અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે બંધારણની કલમ 19 (1) (એ) હેઠળ અખબારોની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution