સુરત: BJPના પેજપ્રમુખો કાર્ડ રસ્તા પર ફેંકી 600 કાર્યકર્તા સાથે AAPમાં જોડાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ફેબ્રુઆરી 2021  |   1980

સુરત-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ જાહેર સભાઓને સંબોધવાની પણ શરૂઆત કરી છે. તો બીજી તરફ લોકોનો સહયોગ પણ AAPને મળી રહ્યો છે. ત્યારે સુરતના પાસોદરા વિસ્તારમાં ભાજપના પેજ પ્રમુખો સહિત 600 કાર્યકતાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના પેજ પ્રમુખના કાર્ડ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના પગ તળે કચડાયા હતા. પેજ પ્રમુખોએ પક્ષ સામે રોષ વ્યક્ત કરતા પોતાના કાર્ડ સ્ટેજ પર રસ્તા પર ફેંકી દીધા હતા. આ કાર્યકર્તાઓમાં પાસોદરા ગામના સરપંચ રાજેન્દ્ર વસાણી અને વિશ્વ હિંદુ પરિષદના આગેવાન સંજય રાદડીયાનો સમાવેશ થાય છે. ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે પેજ પ્રમુખની રચના કરી હતી. પરંતુ એજ પેજ પ્રમુખો હવે પક્ષનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા સુરતમાં ભાજપને ફટકો પડ્યો છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution