વ્યાજખોરનાં ત્રાસથી કાપડ વેપારીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   સુરત   |   2079

સુરતના અડાજણ પાટીયાના કાપડ વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે ઝેર પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. અઢી કરોડ વ્યાજ આપ્યા છતાં વ્યાજખોરે ત્રાસ આપતા પગલું ભર્યાનું હાલ સામે આવ્યું છે

અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કાપડના વેપારી ૪૮ વર્ષીય અલ્તાફ અશરફ ઓરાવાલાએ સલાબતપુરા દરગાહ પાસે ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સારવાર માટે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. અલ્તાફભાઈએ પોતાના ભાઈ અને તેના બિઝનેસ પાર્ટનરને જુનેદ યુનુસ ઓરાવાલા પાસેથી ધંધા માટે ૯૦ લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી. ઉઘરાણી અને વ્યાજની ચુકવણી માટે તેમને કુલ ૨.૫ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ચુકવણી છતાં જુનેદ દ્વારા સતત પઠાણી ઉઘરાણી અને ધમકી આપવામાં આવતી હતી.

આ મામલે અલ્તાફભાઈના પુત્ર અબારાએ જણાવ્યું કે, “જુનેદના ત્રાસ અને સતત દબાણને સહન ન કરી પિતાએ આ પગલું ભર્યું. તેમણે આપઘાત પહેલા ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી, જેમાં ઉઘરાણી અને સામાજિક દબાણનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે.” પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સુસાઈડ નોટને મહત્વપૂર્ણ પુરાવા તરીકે રાખી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution