અંબાજી મંદિર ખૂલ્લું રાખવાના નિર્ણયથી યાત્રિકોમાં આનંદ છવાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, સપ્ટેમ્બર 2021  |   3762

અમદાવાદ-

ભક્તોના આવિરત પ્રવાહને લઇ તંત્ર દ્વારા અંબાજી મંદિર ભાદરવી પૂનમ સુધી ખૂલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ખૂલ્લું રાખવાના નિર્ણયથી હવે લાખોની સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શન માટે આવી શકેશે તે માટે તંત્ર દ્વારા અંબાજીમાં વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

શક્તિ પીઠ અંબાજી મંદીર દર્શન માટે આવતા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ભોજન અને આરોગ્ય વ્યવસ્થા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની ગાઈડલાઇનને લઇ સેનેટાઈઝર, માસ્ક સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે. યાત્રિકોને લાવવા લઇ જવા માટે 100 જેટલી એસટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સુરક્ષાને લઇને પોલીસ વિભાગ દ્વારા 5 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તો માતાજીના પ્રસાદ માટે 9 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. યાત્રિકોની સેવા માટે 10 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. જ્યારે યાત્રિકોને રેલીંગમાં પાણી માટેની સગવડ કરાઈ છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગે સુધી મંદિર ખૂલ્લુ રહેશે. અંબાજી મંદિરને ખૂલ્લા રાખવાના તંત્રના નિર્ણયથી અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઘણા દિવસોથી યાત્રિકો અંબાજી મંદિરને લઇ રાહ જોઈ રહ્યા હતા કે મેળો યોજાશે કે નહિ તેને લઇ યાત્રિકો મુંઝવણમાં હતા. જોકે, હવે મંદિર ખૂલ્લું રાખવાના નિર્ણયથી ભક્તોમાં આનંદ છવાયો છે. તેમજ હજારોની સંખ્યામાં હાલ યાત્રિકો અંબાજી મંદિર દર્શન માટે આવતા જોવા મળી રહ્યા છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution