લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2025 |
સુરત |
11979
સુરતના મહિધરપુરામાં એકસાથે આઠ ગણેશ પંડાલોમાં ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. તસ્કરો ગણેશ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ અને તાંબાની દીવી સહિતનો સામાન ચોરી ગયા હતા. જે દરમિયાન એક પંડાલમાં ગણેશજીની પ્રતિમા ખંડિત થવાનો મામલો પણ બન્યો હતો. આ બનાવની ગંભીર નોંધ લઈને પોલીસની ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી હતી. અને સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરુ કરી હતી. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીની ધરપકડ કરી છે.
સુરતના મહીધરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલનો નિશાન બનાવી ચોરી કરતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. મહીધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગઈ રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ પણ થયા છે. ઘટનાના પગલે ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહીધરપુર વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ આઠ ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો છે.
તસ્કરો અલગ અલગ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા-અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે. એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. ઘટનાના પગલે ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. જ્યારે પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓએ પણ ઘટનાસ્થળ પર પહોંચી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.