વડોદરા: વિદાય વેળાંએ જ કન્યાનું નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, માર્ચ 2021  |   1188

વડોદરા-

રાજ્યમાં હાલ લગ્નપ્રસંગની સિઝન ચાલી રહી છે. રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના વકર્યો છે. અને કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં વડોદરામાંથી એક ખુબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે. જેમાં ૪૪ વર્ષની વયે લગ્ન કર્યા બાદ વિદાય વેળાએ જ કન્યાનું મોત નિપજ્યું હતું. મોત બાદ કન્યાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે પરિવારમાં શોકની સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં સોલંકી પરિવાર હતો. તેમના પુત્રી ૪૪ વર્ષના હતા. ૪૪ વર્ષની ઉંમરે લગ્ન નક્કી થયા હતા. અને એક તારીખના રોજ તેઓનાં લગ્ન થયા હતા. અને ૩ દિવસ બાદ આજે તેઓની વિદાય વેળા હતી. ઘરમાં વિદાય આપતાં સમયે કન્યાને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાં પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી.

એમ્બ્યુલન્સમાં તાત્કાલિક કન્યાને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ કન્યાને મૃત ઘોષિત કરી હતી. હાલના નિયમો મુજબ કોઈપણ વ્યક્તિનાં મોત બાદ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે કન્યાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, કન્યા કોરોના પોઝિટિવ હતી.

કન્યા કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવતાં જ પરિવારજનોમાં કન્યાને ગુમાવવાના શોકની સાથે ચિંતાનું મોજું પણ ફેલાઈ ગયું હતું. હાલ કોરોનાને કારણે સમાજમાં ડરનો માહોલ છે. જેને કારણે સમાજની બીકે હાલ કન્યાના પરિવારજનો સામે આવી રહ્યા નથી. તેવામાં લગ્ન પ્રસંગમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ કન્યાના સંપર્કમાં આવ્યા હશે. તેવામાં લગ્નપ્રસંગમાં હાજર લોકોમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution