વડોદરા-

વડોદરામાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પુરની પરિસ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો હતો. જો કે હાલમાં નદીનાં જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 23 ફૂટ થઇ ગઇ છે.

આ પહેલા વિશ્વામિત્રી નદીમાં પુરની પરિસ્થિતિ જેવો માહોલ બન્યો હતો. જેના કારણે નદીમાંથી મોટી સંખ્યામાં મગર બહાર આવી રહ્યાં હતા. આપને જણાવી દઇએ કે, વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો છે. આ નદીને મગરોનું ઘર ગણાય છે. આ પહેલા કલાભવન પાસે 5 ફૂટ લાંબો મગર ધસી આવ્યો હતો, ત્યારે બાંકડા નીચે છુપાયેલાં મગરને રેસ્ક્યુ કરાયો હતો. વરસાદનાં વિરામ બાદ અહીનાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

જણાવી દઇએ કે, વડોદરા વરસાદ એટલો પડ્યો કે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે વિશ્વામિત્રી કાંઠે આવેલાં જલારામનગરમાં પાણી ભરાઇ ગયા છે, અહી 400 જેટલા ઝુંપડાઓમાં પાણી ભરાવાનો ભય હતો. જેને લઇને સ્થાનિકોએ તંત્ર પાસેથી મદદની માંગણી કરી હતી પરંતુ તંત્ર દ્વારા મદદ ન મળતી હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો હતો.