મુંબઇ

બોલિવુડ એક્ટર વરુણ ધવન પોતાની બાળપણની ફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે તેવી ચર્ચા દર થોડા દિવસે થતી રહે છે. વરુણ ધવન અલીબાગમાં જાન્યુઆરીના અંતે લગ્ન કરવાનો હોવાની અફવા છેલ્લા બે દિવસથી ઉડી રહી છે. 

હાલ ચાલી રહેલી મહામારીના કારણે ધવન અને દલાલ પરિવાર ફટાફટ લગ્ન પતાવી દેવા માગે છે. નજીકના મિત્રો અને પરિવારને આમંત્રણ આપવા માટે ઈ-વાઈટ્સ (ઓનલાઈન આમંત્રણ) મોકલી દેવાયા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, વરુણ-નતાશાના લગ્નના પ્રસંગો 5 દિવસ સુધી ચાલશે. 22થી 26 જાન્યુઆરી સુધી અલીબાગમાં જ ફંક્શનોની ધૂમ હશે. '5 દિવસ સુધી ધૂમધામ રહેશે', તેમ સૂત્રએ કહ્યું.

વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ફેશન ડિઝાઈનર છે ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નતાશાએ પોતાના લગ્ન માટે જાતે લહેંગો ડિઝાઈન કર્યો છે. નતાશા નવવધૂઓ માટે ખૂબસૂરત બ્રાઈડલ આઉટફિટ તૈયાર કરવા માટે જાણીતી છે. એવામાં તેણે પોતાના માટે લહેંગો ડિઝાઈન કરવાનું નક્કી કર્યું હોય તેમાં કોઈ બેમત નથી. 

માહિતી પ્રમાણે, કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં જ વરુણ-નતાશા સાત ફેરા લેશે. તેમના લગ્ન દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. 

જણાવી દઈએ કે, વરુણ ધવન અને નતાશા દલાલે હંમેશા પોતાની રિલેશનશીપને લોકોની નજરોથી સુરક્ષિત રાખી છે. કોઈ પાર્ટી-ગેટ-ટુ-ગેધર જેવા કેટલાક પ્રસંગોમાં જ બંનેએ સાથે હાજરી આપી છે. વરુણ અને નતાશાના લગ્નની અટકળો જૂન 2019થી ચાલી રહી હતી પરંતુ 2020માં મહામારીના કારણે લગ્ન ના થઈ શક્યા. સૂત્રએ વાત પૂરી કરતાં કહ્યું, "કોરોના હજી આપણી આસપાસ છે અને ક્યાં સુધી તમે જીવનમાં આગળ નહીં વધો? આ મહામારી સાથે 10 મહિના થઈ ગયા છે."