આણંદ:કોરોના વાઇરસ સામે આજે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે આપણે એક વાત ખાસ યાદ રાખવી રહી કે આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહીં, માટે તેની સંભાળ રાખીએ. છેલ્લાં કેટલાંય મહિનાઓથી કોરોનારૂપી મહામારીમાંથી નાગરિકોને રક્ષિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક મોરચે ઝુંબેશ ચલાવી રહી છે. કોવિડ-૧૯ નામક અદૃશ્ય શત્રુને પરાજિત કરવા આપણાં આરોગ્યકર્મીઓ ચોવીસે કલાક નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી નિભાવી રહ્યાં છે. કોરોના વાઇરસ માનવીનો અદૃશ્ય દુશ્મન છે. મેડિકલ ક્ષેત્રમાં અનેક રોગનો તાગ અને ઇલાજ મેળવવો મુશ્કેલ હોય છે. કોવિડ-૧૯ વાઇરસ પણ એમાંનો એક છે. હાલ તો કોરોનાની પરિસ્થિતિમાં મહ્દઅંશે સુધારો આવ્યો છે, પરંતુ આ સ્થિતિ જાળવી રાખવા માટે આપણે સૌએ સતર્કતા, સહિષ્ણુતા, સંભાળ અને સમયસર સારવાર આ ચાર મંત્રોને જીવનમાં ઊતારવા પડશે. આની સાથોસાથ આપણે સ્વયં આપણી જાતની કાળજી રાખવી જરૂરી છે. ઘરની બહાર નીકળીએ તો અવશ્ય માસ્ક પહેરીને જ નીકળીએ, તેટલું જ નહીં પણ અન્યને પણ માસ્ક પહેરવા સમજાવીએ. તેમજ અન્ય વ્યક્તિથી નિશ્ચિત અંતર રાખીએ, વારંવાર સાબુ અથવા સેનિટાઇઝરથી હાથ સાફ કરતાં રહીએ. ખાસ કરીને દિવાળીનાં તહેવારમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. આપણે આટલી કાળજી રાખીશું તો આપણી જાતને, આપણાં કુટુંબ - પરિવાર - સમાજ સહિત સૌને સુરક્ષિત રાખી શકીશું. કોરોનાનાં વહેલાસર નિદાનથી દર્દીની ઝડપથી સાજા થવાની શક્યતા વધી જાય છે. કોરોનાથી બચવા માટે નિયમિત આહાર-વિહાર, વ્યાયામ, સૂર્યનમસ્કાર, પૂરતી ઊંઘ અને સમયાંતરે આયુર્વેદિક ઉકાળા અને ઔષધિઓનું સેવન કરવું હિતાવહ છે. તો ચાલો, આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવવાનો સંકલ્પ કરીયે, સ્વયં અને પોતાના પરિવારની કાળજી સાથે કોરોનાની કામગીરી સાથે જાેડાયેલાં કર્મયોગીઓને સન્માન આપીએ. આ યોદ્ધાઓની સંભાળ રાખીએ અને કોરોનાથી ખુદને બચાવીએ સાથે સાથે ગામ, નગર, શહેર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રને કોરોના મુક્ત બનાવવામાં સહભાગી થઈએ.
Loading ...