એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનુ સોમવારે હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયું છે. તેઓ 55 વર્ષના હતા. તેઓ શ્રીરામ રાઘવનની 'અંધાધુન' અને 'બદલાપુર' જેવી ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતા હતા. તેમની સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા નિશાંત ખાને જણાવ્યુ કે, પરવેઝને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

નિશાંતે કહ્યુ, તેમને સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી નહતી. બસ કાલે રાત્રે છાતીમાં દુખાવો થયો હતો. પરવેઝ ખાન 1986થી બોલીવુડમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મકાર હંસલ મેહતાએ કહ્યુ કે, એક્શન ડાયરેક્ટર પોતાના કામમાં માહેર હતા. તેમણે પરવેઝની સાથે 2013મા આવેલી શાહિદમાં કામ કર્યું હતું, જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

હંસલ મેહતાએ ટ્વીટ કર્યુ, માહિતી મળી છે કે એક્શન ડાયરેક્ટર પરવેઝનું નિધન થઈ ગયું. અમે શાહિદમાં સાથે કામ કર્યું હતું, જેમાં તેમણે એક ટેકમાં તોફાનોનું દ્રષ્ય ફિલ્માવ્યુ હતું. ખુબ હોશિયાર, ઉર્જાવાન અને સારા વ્યક્તિ હતા. પરવેઝની આત્માને શાંતિ મળે. તમારો અવાજ હજુ પણ કાનમાં ગુંજી રહ્યો છે.