18, સપ્ટેમ્બર 2021
396 |
અંબાજી, અંબાસા ગામથી સંઘ મા અંબાનાં દર્શન કરવા જઇ રહ્યો હતો. પરિવાર માતાના ધામમાં જતા વાહનચાલકની ભૂલને કારણે યમધામ પહોંચી ગયો. પગપાળા સંઘને રાણપુર ગામ પાસે બેફામ આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં ૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવને પગલે બનાસકાંઠા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે શુક્રવારે અગિયાર વાગ્યે યાત્રાધામ અંબાજી પગપાળા આવી રહેલા યાત્રાળુને રાણપુર પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી, જેથી ૧ મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોના પરિવાર દ્વારા અકસ્માત સર્જેલા વાહનચાલક સામે કાયદાકીય સજાની માગ કરી છે. મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે મારા ભાઈઓ કાલે અગિયાર વાગ્યે અંબાસાથી અંબાજી દર્શન માટે નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો છે. અમારાં બે ભાઈ અને એક બહેન હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આવી રીતે બેફામ વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી ઘટના ફરી ન બને. ભાદરવી પૂનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો પદ યાત્રા કરી અંબાજી દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે અંબાજી હડાદ રોડ પર પદયાત્રા કરી અંબાજી આવતા પદ યાત્રિકોને અજાણ્યા વાહને અડફેટે લેતાં ત્રણ પદયાત્રીઓ ના મોત થયા હતા. તેમજ બે ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મોતને પગલે પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જાેકે, આ અકસ્માત બાદ ખાનગી વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે.